4 :  ભારતનો સાહિત્ય વારસો

1. સમજાવો: ભારતીય પ્રાચીન સાહિત્યનું પ્રચલન સમજાવો.

  • ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડ્યા છે. (1) વૈદિક સાહિત્ય (2)પ્રશિષ્ટ સાહિત્ય આ ઉપરાંત કેટલીક લોક્બોલીઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત હતું.
  • સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિનિએ ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં અષ્ટાધ્યાયી ગ્રંથની રચના કરી.
  • સંસ્કૃત ભાષાને આર્યની ભાષા, વિદ્વાનોની ભાષા કે ઋષિઓની ભાષા કહે છે. જે આજના સમયમાં પણ વિશ્વમાં સર્વસ્વીકૃત બની છે.
  • સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા હતી.

 

2. વિચારો રજુ કરવા ભાષાનો ઉપયોગ કેવી રીતે શરૂ થયો. અથવા સાહિત્યનુ સર્જન કેવી રીતે થયું ?

  • માનવીએ પોતાના  વિચારો, ભાવો, લાગણીઓ અને ઊર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, સંકેતો કે ચિત્રોનો આશરો લીધો અને કેટલાક ધ્વનિઓ કર્યા તેમાંથી બોલી અને લિપિનો ઉદ્દભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં મોટો ફાળો આપ્યો. સમયાન્તરે પોતાના વિચારો અભિવ્યકત કરવા માટે ભાષાનો ઉપયોગ થયો.
  • ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનુ સર્જન થવા પામ્યું હતું.

 

3. પ્રાચીન ભારતીય સાહિત્યમાં વેદોનો ટૂંકમાં પરિચય આપો.

ઉત્તર : 
સંસ્કૃત પ્રાચિન ભારતીય સાહિત્યની મુખ્ય ભાષા રહી છે. 

વેદો :
  • 'વેદ' નો અર્થ 'જ્ઞાન' થાય છે. 
  • ભારતીય સાહિત્યના પ્રાચીનતમ ગ્રંથમાં ચાર વેદોનો સમાવેશ થાય છે.
(1) ઋગ્વેદ : 
  • ઋગ્વેદ દસ ભાગમાં વહેંચાયેલો અદભુત ગ્રંથ છે. 
  • એમાં કુલ 1028 જેટલી ઋચાઓનો સંગ્રહ છે. 
  • આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે.
  • આ સ્તુતિઓ યજ્ઞપ્રસંગે કરવામાં આવતી. 
  • તેમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ ઘણી મનમોહક છે.
  • આ ગ્રંથ સપ્તસિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સમાજિક, ધાર્મિક તેમ જ આર્થિક બાબતોનું વર્ણન કરે છે.
(2) સામવેદ : 
  • ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે સામવેદની રચના કરવામાં આવી છે. 
  • આ શ્લોકોમાં રાગ અને લય મહત્વપૂર્ણ હોવાથી તેને 'સંગીતની ગંગોત્રી' કહે છે.
(3) યજુર્વેદ : 
  • યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે.
  • આ વેદ ગદ્ય અને પદ્ય સ્વરૂપે રચાયેલ છે.
  • યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે.
(4) અથર્વવેદ : 
  • આ વેદમાં અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરવામાં આવ્યું છે.
4. પ્રાચીન ભારતીય સાહિત્યમાં ઉપનિષદો, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો અને વેદાંગનું શું મહત્વ હતું?

ઉપનિષદો :

  • ઉપનિષદો સંવાદના સ્વરૂપમાં છે. મુક્તિકો ઉપનિષદમાં કુલ ઉપનિષદની સંખ્યા 108 દર્શાવેલી છે.
  • આ સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, જીવન, મૃત્યુ, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન પ્રકૃતિ અને બીજા અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે.
  • બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતનાં ઉપનિષદો છે.
બ્રાહ્મણ ગ્રંથો :
  • વેદોના મંત્રોનો અર્થ સમજવા માટે તેના પર પદસ્વરૂપમાં રચાયેલી ટીકાઓનો બ્રાહ્મણગ્રંથોમાં સમાવેશ થાય છે.
  • એમાં જુદા-જુદા યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
આરણ્યકો :
  • આર્યો તેમના જીવનનો અંતિમ સમય અરણ્યમાં જઇને ગાળતા.
  • વન અથવા અરણ્યમાં આશ્રમ બાંધી સતત ચિંતન કરીને રચાયેલા તત્વજ્ઞાનથી ભરપૂર એવા સાહિત્યને 'આરણ્યકો' કહે છે.
વેદાંગ :
  • આ સાહિત્યમાં કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ થાય છે.
5. પ્રાચીન ભારતીય સાહિત્ય વિશે નોંધ લખો.

    પ્રાચિન ભારતીય સાહિત્યમાં ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ તેમજ ૧૦૮ ઉપનિષદો, બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો તેમજ વેદાંગોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અનેક ગ્રંથો આ સમયમાં લખાયા હતા.
  • 'રામાયણ' અને 'મહાભારત' ભારતનાં બે મુખ્ય પ્રાચીન ગ્રંથો છે. 
  • રામાયણમાં અયોધ્યાના રાજવી રામચંદ્વની કથા આપી છે. આ મહાકાવ્ય મહાભારત કરતા ઘણું નાનું છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ તથા સાહસોનું વર્ણન કરાયેલ છે.
  • મહાભારતમાં લગભગ એક લાખ શ્લોક છે. તે વિશ્વનો સૌથી મોટો કાવ્યગ્રંથ છે. પાંડવો અને કૌરવો વચ્ચે થયેલ યુદ્ધ તેનો મુખ્ય વિષય છે.
  • 'શ્રીમદ્ ભગવદગીતા' મહાભારતનો જ એક ભાગ છે, જેમાં ગહન દાર્શનિક સિદ્ધાંતોનું તેમજ મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન કરવામાં આવ્યું છે.
  • રામાયણ અને મહાભારત બન્ને મહાકાવ્યોએ સદીઓ સુધી કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે, ભારતમાં સંસ્કાર સિંચનનું પ્રેરક કાર્ય કર્યું છે.
  • આ યુગમાં સંસ્કૃત ભાષામાં પુષ્કળ સાહિત્ય રચાયું જેમાં ધાર્મિક અને લૌકિક એવી બન્ને પ્રકારની રચનાઓનો સમાવેશ થાય છે. 
  • પુરાણોએ આરંભિક વૈદિક ધર્મને સમજાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
  • આ સમયગાળા દરમિયાન અનેક શાસ્ત્રો અને સ્મૃતિ ગ્રંથો પણ લખાયા. સ્મૃતિગ્રંથોમાં ધર્મ દ્વારા અનુમોદિત કર્તવ્યો, રિવાજો અને નિયમો આપવામાં આવ્યા છે. આ શાસ્ત્રો વિજ્ઞાન અને તત્વજ્ઞાનના ગ્રંથો છે. દા.ત. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વહીવટી વિજ્ઞાનની કૃતિ છે.
  • આ સમયમાં વિવિધ કક્ષાના ગણિત અને અન્ય વિજ્ઞાન સબંધિત શાસ્ત્ર ગ્રંથો પણ લખાયા. 
  • પ્રારંભિક બૌદ્ધ સાહિત્ય પાલિ ભાષામાં લખાયું. આ સાહિત્ય ત્રણ ભાગોમાં વહેચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં સુત્ત(સૂત્ર) પિટક, વિનય પિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા હોવાનું કહેવાય છે. 
  • ગુપ્તયુગને સંસ્કૃત કાવ્ય અને નાટકના વિકાસનો સુવર્ણયુગ કહેવાયો. આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવિ, ભતૃહરી, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે.  
  • 'કુમારસંભવ', 'રઘુવંશ', 'મેઘદૂત', 'ઋતુસંહાર' અને 'અભિજ્ઞાનશાકુંતલમ્' વગેરે વિશ્વ પ્રસિદ્ધ કવિ કાલિદાસના ઉત્તમ ગ્રંથો છે. 
  • બાણભટ્ટ લિખિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવનચરિત્ર 'હર્ષચરિત' તેમજ 'કાદમ્બરી' ઉત્તમ રચનાઓ છે. 
  • આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું 'ઉત્તરરામચરિત', ભારવિનું 'કિરાતાર્જુનિયમ્', વિશાખાદત્તનું 'મુદ્રારાક્ષસ', શુદ્રકનું 'મૃચ્છકટિકમ્' અને દંડીનું 'દશકુમારચરિત' નો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયોમાં રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્યપ્રસંગો અને તત્વજ્ઞાનનો સમાવેશ થાય છે.
6. પ્રાચિન ગુજરાતી સાહિત્યનો પરિચય આપો.
  • જૂની ગુજરાતી ભાષામાં પદ્ય સાહિત્ય રચાતું હતું. 
  • સમય જતાં ગુજરાતી ભાષામાં ખેડાણ થતાં અનેક કૃતિઓ રચાઈ. જેમાં નરસિંહ મહેતા, મીરાંબાઇ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રિતમ, ગંગાસતી જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાનકાવ્યો વગેરે રચીને કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગહન પ્રભાવ પાડ્યો છે.
  • એ પછી નર્મદ, નવલરામ, મહીપતરામ રૂપરામ નીલકંઠ, ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોરલાલ મશરુવાલા, પન્નાલાલ પટેલ અને ઉમાશંકર જોશી જેવાં સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું.
7. દક્ષિણ ભારતનાં પ્રાચિન સાહિત્ય વિશે નોંધ લખો.
  • તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની ચાર દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈ.સ.ના પ્રારંભ જેટલું જૂનું છે. 
  • ભારતની પ્રચલિત પરંપરા અનુસાર ત્રણ સંગમોનું આયોજન થયું, જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે. જેમકે, રાજનીતિ, યુદ્ધ, પ્રેમપ્રસંગ વગેરે. 'એતુથોકઈ' (આઠ કાવ્યોનું સંકલન) 'તોલકાપ્પિયમ્' (વ્યાકરણગ્રંથ) અને 'પથ્થુપાતુ' (દસ ગીતો) આ સાહિત્યના પ્રસિદ્ધ ગ્રંથ છે. 
  • કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ 'કુરલ'ની રચના કરી. આ કાવ્યગ્રંથમાં જીવનનાં અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે.
  • 'શીલપ્પતિકારમ્' અને 'મણિમેખલાઈ' પ્રારંભિક તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. 
8. મધ્યકાલીન સાહિત્ય ટૂંકમાં સમજાવો.
ઉત્તર :

  • ઉત્તર ભારતમાં મધ્ય યુગની શરૂઆતમાં સંસ્કૃત એ સાહિત્યની ભાષા બની રહી. 
  • આ યુગમાં કશ્મીરમાં બે મહાન ગ્રંથો લખાયા જેમાં પહેલો સોમદેવનો 'કથાસરિતસાગર' અને બીજો કલ્હાણનો 'રાજતરંગિણી'.
  • 'રાજતરંગિણી' કશ્મીરના ઇતિહાસને આલેખતો અત્યંત મહત્વપૂર્ણ ગ્રંથ છે. સાચા અર્થમાં તે ભારતનો સર્વ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે.
  • આ સમયની બીજી મહત્વની રચના જયદેવનું 'ગીત ગોંવિદ' છે, જેની ગણના સંસ્કૃતના સુંદરમાં સુંદર કાવ્યગ્રંથોમાં થાય છે.
  • આ સમયે અપભ્રંશ થયેલી ભાષામાંથી આધુનિક ભારતીય ભાષાઓનો વિકાસ શરૂ થયો.
  • કવિ ચંદબદરાઇ રચિત 'પૃથ્વીરાજ રાસો' હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે. પૃથ્વીરાજ ચૌહાણનાં વીરતાપૂર્ણ કાર્યોનું વર્ણન કરતા આ ગ્રંથની રચનાથી હિન્દી સાહિત્ય જગતમાં વીરગાથા યુગનો પ્રારંભ થયો.
  • આ સમયે દક્ષિણ ભારતમાં સંસ્કૃત સાહિત્યની મોટા પ્રમાણમાં રચના થઇ, જેમાં શંકરાચાર્યનું 'ભાષ્ય' મુખ્ય છે.
  • આ સમયમાં દ્રવિડ કુળની ભાષાઓનો પણ વિકાસ થયો.
  • થોડા સમય સુધી કન્નડ સાહિત્ય પર જૈન ધર્મની ગાઢ અસર જોવા મળી. 
  • એ યુગના કવિઓ પંપા, પોન્ના અને રન્નાને પ્રાંરભિક કન્નડ સાહિત્યની ત્રિપુટી તરીકે ઓળખવામાં આવે છે.
  • કવિ પંપાએ 'આદિપુરાણ'ની રચના કરી. સોળમાં જૈન તીર્થંકરનું જીવન આલેખતું 'શાંતિપુરાણ' કવિ પોન્નાએ તૈયાર કર્યું. આ ઉપરાંત રન્નાએ 'અજીતનાથ પુરાણ' નામની કૃતિ રચી.
  • કવિ કમ્બલે તમિલ ભાષામાં 'રામાયણમ્' ની રચના કરી. આ ઉપરાંત તમિલ ભાષામાં અન્ય પ્રસિદ્ધ સાહિત્ય પણ રચાયું.
  • ભારતીય ભાષાઓનો વિકાસ અને સાહિત્યિક કૃતિઓની રચના દિલ્લી સલ્તનતકાળમાં વેગીલી બની.
  • હિન્દી ભાષાનાં બે સ્વરૂપો વ્રજ અને ખડીબોલીનો પણ સાહિત્યક રચનાઓમાં વિનિયોગ થવા લાગ્યો. આ બન્ને ભાષાઓમાં અનેક ભક્તિગીતો રચાયા.
  • હિન્દી અને ગુજરાતી ભાષા સાથે મળતી આવતી રાજસ્થાની ભાષામાં વીરગાથાઓ લખાઈ. 
  • આલ્હા, ઉદલ, બીસલદેવના રાસો આ સમયની વિખ્યાત વિરગાથાઓ છે.
  • મુલ્લા દાઉદનો ગ્રંથ 'ચંદ્રાયન' એ અવધી ભાષાનો સૌથી જૂનો ગ્રંથ મનાય છે જો કે પ્રાચીન ગ્રંથો પરના ભાષ્યો હજુ પણ આ સમયે સંસ્કૃત ભાષામાં રચાતાં હતા.
  • ફારસી ભાષા દિલ્લીના સુલતાનોની રાજભાષા હતી. તેના સાહિત્યની અસરરૂપે અનેક ફારસી શબ્દોનો સમાવેશ ભારતીય ભાષાઓમાં થયેલો જોવા મળે છે.
  • આ યુગમાં અનેક ઈતિહાસકારો થયા. ઝિયાઉદ્દીન બરનીએ 'તારીખે ફિરોજશાહી'ની રચના કરી, જેમાં ખલજી અને તુઘલક વંશના રાજ્યનું વિસ્તૃત વિવરણ કરવામાં આવ્યું છે. તેણે રાજકીય સિદ્ધાંતો ઉપર 'ફતવા-એ-જહાંદારી' નામનો ગ્રંથ પણ લખ્યો.
  • અમીર ખુશરો આ સમયના સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. તેની મહત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ-સદાયનનો સમાવેશ થાય છે.
  • ભક્તિમાર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો. તેમાં કબીર જેવા અનેક સંતકવિઓનો સમાવેશ થાય છે. એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય બોલીઓ હતી. કબીરની રચનાઓ મુખ્યત્વે સધુકડી લોકબોલીમાં છે. તેના દોહરાઓ લોકસાહિત્યનું અંગ બન્યા છે.
  • મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં 'પદ્માવત' નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો પ્રસિદ્ધ ગ્રંથ 'રામચરિતમાનસ' આ સમયે અવધીમાં ભાષામાં લખાયો.
  • બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં 'રામાયણ' અને પ્રસિદ્ધ કવિ ચંદીદાસે સેંકડો ગીતો રચ્યાં. બંગાળમાં સંત ચૈતન્યથી ભક્તિગીતો લખવાની પરંપરા શરૂ થઇ.
  • નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠીમાં ભક્તિગીતો રચ્યાં.
  • જૈનુલઅબિદિનના આશ્રયે કશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો.
  • વિજયનગરના મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક હતા. તેમણે ‘આમુક્તમાલ્યદા’ ગ્રંથની રચના કરી.
  • પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં 'તુઝુકે બાબરી' નામે આત્મકથા લખી, જેનું ફારસીમાં 'બાબરનામા' નામથી ભાષાંતર કરવામાં આવ્યું.
  • હુમાયુની બહેન ગુલબદન બેગમે 'હુમાયુનામા' લખ્યું. જહાંગીરે 'તુઝુકે જહાંગીરી' નામની પોતાની આત્મકથા લખી, ઔરંગઝેબ પણ સિદ્ધહસ્ત લેખક હતો. છેલ્લા મુઘલ સમ્રાટ બહાદુરશાહ ઝફર પણ એક ઉર્દૂ કવિ હતો.
  • તુલસીદાસ અને સુરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકાર થઈ ગયા.
  • અબુલ ફજલે 'આયને અકબરી' અને 'અકબરનામા' લખ્યું. આયને અકબરીમાં ભારતીય રીતરિવાજો, શિષ્ટાચારો, ધર્મદર્શન, આર્થિક સ્થિતિ અને જીવનનાં લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યુ છે.
  • અબુલ ફજલનો ભાઈ ફૈજી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા.
  • અકબરે તો મહાભારત, રામાયણ, અર્થવેદ, ભગવદ ગીતા, પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની રચના કરી.
  • મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દૂ ભાષાના જન્મની છે. આ નવી ભાષા, સાહિત્યની દ્રષ્ટિએ સૌથી સમૃદ્ધ એવી અન્ય આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીરતકી મીર, નઝીર અકબરાબાદી, અસદુલ્લાખાન, ગાલીબ જેવા મહાન કવિઓ થયા.
  • અઢારમી સદીમાં ઉર્દૂ ગદ્યનો વિકાસ થયો. સંસ્કૃતના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર કરવામાં આવ્યું.
  • મુહમંદ હુસેન આઝાદનો 'દરબારે અકબરી' ઉર્દુ ભાષાનો મહત્વનો ગ્રંથ છે.

9. અમીર ખુસરો વિશે નોંધ લખો.
  • અમીર ખુશરો મધ્યયુગનાં સૌથી મહાન સાહિત્યકાર ગણાય છે. 
  • તેઓ એક કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી સંત અને સંગીતકાર હતા. સુપ્રસિદ્ધ હઝરત નિઝામુદ્દીન ઓલિયા તેના ગુરુ હતા. 
  • તેની મહત્વની કૃતિઓમાં આસિકા, નૂર, સિપિહર અને કિરાતુલ-સદાયનનો સમાવેશ થાય છે.
  • તેને પોતે ભારતીય હોવાનો ગર્વ હતો. ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. તેમનાં પુસ્તકોમાં પણ ભારતનાં કુદરતી સૌન્દર્ય, ઈમારતો અને જ્ઞાન-વિજ્ઞાનનાં ભરપુર વખાણ થયેલા જોવા મળે છે.
  • દિલ્લીની આજુબાજુમાં બોલાતી ભાષાને તેઓ 'હિન્દવી' કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવતા. હિન્દી અને ફારસી ભાષાને ભેગી કરી તેઓએ અનેક ચોપાઈઓ અને દુહાની રચના કરી છે. 
10. નાલંદા વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

  • બિહારના પટણા જિલ્લાના બડગાંવ ગામ પાસે પ્રાચીન નાલંદા વિદ્યાપીઠ આવેલી છે. ભારતીય સંસ્કૃતિમાં બોદ્ધ અને જૈન પરંપરામાં નાલંદાનું મહત્વ ઘણું છે.
  • આ પ્રાચીન વિદ્યાપીઠમાં મહાવીર સ્વામીએ ચૌદ ચાતુર્માસ કર્યા હોવાથી આ સ્થળ જૈનતીર્થ પણ બન્યું હતું.
  • પાંચમી સદીમાં કુમારગુપ્તે અહીં એક વિહાર બંધાવેલ. ત્યાર પછી નાલંદાની પ્રસિદ્ધિમાં વધારો થયો હતો. 
  • નાલંદા વિશ્વ વિદ્યાલય હતું.  ભારતીય સંસ્કૃતિનું આ એક તીર્થધામ હતું.  ત્યાં હજારો હસ્તલિપિ ગ્રંથોના અમૂલ્ય ભંડારો હતા.
  • દેશ પરદેશથી વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરવા આવતા.
  • આજે તો આ મહાન વિશ્વ વિદ્યાલયના માત્ર ખંડેરો જ જોવા મળે છે. આમ છતાં તે ખંડરોમાં ફરતા ફરતા પણ દેશની ભવ્ય સંસ્કૃતિની એક ઝાંખી થઈ શકે છે.
  • નાલંદામાંથી ભણીને બહાર નીકળેલ વિદ્યાર્થી ભારતનો આદર્શ વિદ્યાર્થી ગણાતો. ઇસુની પાંચમીથી અગિયારમી સદી દરમિયાન નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું.
  • આ સમયે ભારતમાં વિશ્વભરમાં શ્રેષ્ઠતમ ગણાય તેવા ગ્રંથાલયો હતાં. અહીંના ગ્રંથાલયવાળો વિસ્તાર ધર્મગંજ તરીકે ઓળખાતો હતો.
  • તક્ષશિલા તેમજ નાલંદા શિક્ષણના સર્વોત્તમ સ્થાને હતું. વિદ્યાપીઠમાં આવેલ ગ્રંથાલયોમાં અભ્યાસ અને સંશોધન કરવા માટે દેશ વિદેશમાંથી અનેક વિદ્યાર્થીઓ આવતા. યુઅન શ્વાંગ નામના ચીની અભ્યાસુ નાલંદા વિદ્યાપીઠની મુલાકાતે આવ્યા હતા અને  657 જેટલા હસ્તલિખિત  ગ્રંથો પોતાની સાથે ચીન લઇ ગયા હતા.
  • નાલંદા મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતા. તેમજ વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતા.
  • વિદ્યાર્થીઓના રહેવા માટેના ખાસ મઠો બાંધવામાં આવ્યા હતા.
  • વિદ્યાપીઠને નિર્વાહ માટે અનેક ગામો દાનમાં મળ્યા હતા. ગામોની આવકમાંથી વિદ્યાર્થીઓને ભોજન અને વસ્ત્રો વિના મૂલ્યે પૂરાં પાડવામાં આવતાં.
ઇ.સ.ની પાંચમીથી અગિયારમી સદી સુધી નાલંદાની ખ્યાતિ અને સુપ્રસિદ્ધિ વિદ્યાકેન્દ્ર તરીકે રહી હતી.


11. તક્ષશિલા વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો.

  • વર્તમાન સમયમાં પાકિસ્તાનમાં આવેલ રાવલપીંડીથી પશ્ચિમે પ્રાચીન તક્ષશિલા વિદ્યાપીઠ હતી. તે પ્રાચીન ગાંધાર પ્રદેશની રાજધાનીનું શહેર હતું.
  • આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું. અહીં મોટાભાગના વિદ્યાર્થીઓ ગુરૂના આશ્રમમાં રહી અભ્યાસ કરતા હતા.
  • ભગવાન બુદ્ધના શિષ્ય જીવકે અહીં આયુર્વેદના પાઠો શીખ્યા.
  • અર્થશાસ્ત્રના કર્તા કૌટિલ્યે પણ અહીં અભ્યાસ કર્યો હતો.
  • દંતકથાનુસાર રઘુકુલમાં જન્મેલા રામના ભાઇ ભરતના પુત્ર તક્ષ પરથી આ સ્થળનું નામ પડ્યું હોવાનું મનાય છે.
  • વારાણસી, રાજગૃહ, મિથિલા અને ઉજ્જૈન જેવા દૂરનાં નગરોમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ માટે ઉમટતા. વારાસણીના રાજકુમારો અહીં જ શિક્ષણ લેતા હતા.
  • કૌશલના રાજા પ્રસેનજિત, વ્યાકરણ શાસ્ત્રી પાણિની, ચંદ્રગૃપ્ત મોર્ય અને રાજનીતિજ્ઞ કૌટલ્યે પણ અહીં શિક્ષણ લીધું હોવાનું મનાય છે.
  • તક્ષશિલા ઉચ્ચ શિક્ષણનું કેન્દ્ર હતું. સામાન્ય સ્થિતિના વિદ્યાર્થીઓ ગુરૂ ઘરે રહીને ભણતા. અહીં વેદ, શસ્રક્રિયા, ગજવિદ્યા, ધનુર્વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, યુદ્ધવિદ્યા, ખગોળ, જ્યોતિષ વગેરેનું શિક્ષણ આપવામાં આવતું હતું.
  • પાંચમી સદીની શરૂઆતમાં ચીનના ફાહિયાને આ સ્થળની મુલાકાત લીધી હતી.

 

12. વારાસણી વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો.

  • વારાણસી યાત્રાધામ તરીકે પ્રસિદ્ધ છે. ઇ.સ. પૂર્વે 7 માં સૈકામાં તે ભારતનું પ્રસિદ્ધ વિદ્યાકેન્દ્ર હતું. ઉપનિષદ કાળમાં તે આર્ય સંસ્કૃતિ અને ધર્મના કેન્દ્ર તરીકે વિકસ્યું. એના રાજા અજાતશત્રુ ઉપનિષદ કળામાં એક તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા.
  • વ્યાસ સંહિતામાં મહર્ષિ વેદવ્યાસનો આશ્રમ અહીં હોવાનો ઉલ્લેખ મળે છે.
  • ભગવાન બુદ્ધે પોતાના મતના પ્રચાર અને પ્રસાર માટે વારાણસી પર પસંદગી ઉતારી હતી.
  • આદિ શંકરાચાર્ય જેવા સમર્થ તત્વજ્ઞને તેમના વેદાંતના નૂતન સિધ્ધાંતની સ્વીકૃતિ માટે કાશી જવું પડ્યું હતું.
  • ચૈતન્ય મહાપ્રભુ અને પુષ્ટિમાર્ગના પ્રવર્તક વલ્લભાચાર્યજીએ પણ પોતાના વૈષ્ણવ સંપ્રદાયોની પ્રતિષ્ઠા અહીં જ મેળવી.
  • પંજાબના વિદ્ધાન કુંટુંબોને સ્થળાંતર કરવું પડ્યું, ત્યારે તેઓ મુખત્વે કાશી અને થોડા પ્રમાણમાં કશ્મીર જઇને વસ્યા હતાં.
  • અનેક રાજાના રાજકુમારો પણ અહીં ઉચ્ચ શિક્ષણ માટે આવતા હતા.
  • સમ્રાટ અશોકના આશ્રયથી  વારાસણીનો સારનાથમઠ પ્રસિદ્ધ ધામ બન્યો.

 

13. વલભી વિદ્યાપીઠ વિશે ટૂંક નોંધ લખો.

  • ઇસ્વીસનના સાતમા શતકમાં ગુજરાતનું આ વિદ્યાધામ અતિ પ્રસિદ્ધ શિક્ષણ કેન્દ્ર હતું.
  • વલભીને વિશાળ અને અત્યંત પ્રસિદ્ધ વિદ્યાધામ બનાવવામાં મૈત્રક વંશના તત્કાલીન શાસકો અને નાગરિકોનો મોટો ફાળો હતો.
  • 7મી સદીમાં ભિખ્ખુ વિદ્યાર્થીઓ રહેતા હતા. વલભી ત્યારે બૌદ્ધ મતના હીનયાન પંથનું કેન્દ્ર હતું. સાતમા શતકની મધ્યમાં પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્વાનો સ્થિરમતિ અને ગુણમતિ વલભીના અગ્રણી આચાર્યો હતા.
  • દૂર દૂરના ગંગા યમુનાના મેદાન વિસ્તારમાંથી બ્રાહ્મણ વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ અભ્યાસ માટે આવતા હતા.
  • ચીની પ્રવાસી ઇત્સિંગે નોધ્યું છે કે વલભી પૂર્વભારની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા નાલંદા સાથે સ્પર્ધા કરતી.
  • વલભી ઈ.સ. ૪૮૦ થી ઈ.સ. ૭૭૫ સુધી એક રાજધાની અને આંતરરાષ્ટ્રીય બંદર હતું.
  • વલભીના શાસક મૈત્રક રાજવીઓ પણ વિદ્યા અને વિદ્યાપીઠના મહાન આશ્રય દાતાઓ હતા.
  • મૈત્રક વંશના રાજવીઓ બોદ્ધ ન હતા, સનાતની હતા, છતાં આ સંસ્થાને મદદ કરતા હતા.
  • અહીં પ્રસિદ્ધ વિદ્વાનોના નામ દરવાજા પર લખવામાં આવતાં. વિદ્વાનો રાજસભામાં પોતાનું પાંડિત્ય દાખવીને રાજતંત્રમાં ઊંચા હોદ્દાઓ પ્રાપ્ત કરતા.
  • આ વિદ્યાપીઠમાં દેશ પરદેશથી અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ આવતા. સાચા અર્થમાં તે આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી. એમાં લગભગ પ્રત્યેક વિદ્યાશાખાઓનું શિક્ષણ અપાતું.
  • ઈ.સ.775 માં અરબોએ આક્રમણ કર્યું અને મૈત્રકો પરાજિત થયા અને વિદ્યાપીઠ બંધ પડી.

 

14. પ્રાચીન ભાષાઓમાં સંસ્કૃત ભાષાનું મહત્વ સમજાવો.

  • સામાન્ય રીતે  અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની સાંકેતિક શબ્દમાળા એટલે ભાષા. સદીઓથી ભારતમાં વિવિધ ભાષાઓનો ઉદભવ થતો રહ્યો અને આ ભાષાઓએ એકબીજા પર પ્રભાવ પાડ્યો. પરિણામે નવી નવી ભાષાઓ અને નવા નવા સાહિત્યનું સર્જન થયું.
  • વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઘણો ઓછો છે. પણ ધાર્મિક કાર્યોમાં અને પૂજા વિધિઓમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ થાય છે.
  • મહર્ષિ પાણિનિ સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. તેમણે અષ્ટાધ્યાયી ગ્રંથની રચના ઇ.સ. પૂર્વે 4 સદીમાં કરી હતી.
  • સંસ્કૃત ભાષાને આર્ય ભાષા કે ઋષિઓની ભાષા કે વિદ્વાનોની ભાષા કહે છે.
  • આજના સમયમાં પણ સંસ્કૃત ભાષા વિશ્વકક્ષાએ સર્વસ્વીકૃત બની છે.
  • સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન ભાષા હતી.