પ્રકરણ ૬ : ભારતનાં સાંસ્કૃતિક વારસાનાં સ્થળો


1. અજંતાની ગુફાઓ વિશે માહિતી આપો.
ઉત્તર :

  • અજંતાની ગુફાઓ મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદ જિલ્લાના અજંતા ગામ પાસે આવેલી છે.
  • સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે.
  • વાસ્તુકળાની દ્રષ્ટિએ અજંતાની ગુફાઓ મહત્વની છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય.
                     (1) ચિત્રકલા આધારિત ગુફાઓ
                     (2) શિલ્પકલા આધારિત ગુફાઓ

  • ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બૌદ્ધધર્મ છે.
  • અજંતાની ગુફાઓના બે પ્રકાર પાડી શકાય - ચૈત્ય અને વિહાર.
  • 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે.
  • અજંતાની ગુફાઓ એક સમયે વિસરાઇ ગઇ હતી. તેને ઇ.સ. 1819માં એક અંગ્રેજ કેપ્ટન જ્હોન સ્મિથે પુન: સંશોધિત કરી.
  • અંજતાની ગુફાઓ પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાના ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે.
  • માનવીય હસ્તક્ષેપ અને સમયની અસરથી ક્ષીણ થતાં ઘણા ચિત્રોને નુકશાન થયું છે.
  • અજંતાની ગુફાઓ તેની અનોખી કલા સમૃદ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
  • ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલા કલાસર્જને ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

2. ઇલોરાની ગુફાઓનો ટૂંકમાં પરિચય આપો.
ઉત્તર :

  • મહારાષ્ટ્ર રાજ્યમાં ઔરંગાબાદ પાસે ઇલોરાની ગુફાઓ આવેલી છે. અહીં કુલ 34 ગુફાઓ આવેલી છે.
  • અહીં એકબીજાથી જુદા એવા ગુફા મંદિરોના ત્રણ સમૂહો છે.
                    (1) બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ 1 થી 12 નંબરની છે.
                    (2) હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 13 થી 29 નંબરની છે.
                    (3) જૈન ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે.
  • રાષ્ટ્રકૂટ રાજાઓના સમયમાં હિન્દુ ધર્મની ગુફાઓનું નિર્માણ થયું.
  • 16 નંબરની ગુફામાં, કૈલાસમંદિર આવેલું છે. એ એક જ પત્થરમાંથી કોતરીને બનાવેલું છે જે 50મી. લાંબુ, 33મી. પહોળું અને 30મી. ઊંચુ છે.
  • દરવાજા, ઝરુખા અને સુંદર સ્તંભોની શ્રેણીઓથી સુશોભિત આ મંદિરની શોભા અવર્ણનીય છે.
  • દુર્ગમ પહાડવાળા વિસ્તારમાં આવેલી ઇલોરાની ગુફાઓ ઇ.સ. 600 થી ઇ.સ. 1000 ના કાળની છે અને પ્રાચીન ભારતીય સભ્યતાનું જીવંત પ્રદર્શન કરે છે.
  • બૌદ્ધ, હિન્દુ અને જૈન ધર્મને સમર્પિત પવિત્ર સ્થાન ઇલોરા પરિસર ન કેવળ અદ્વિતીય કલાત્મક સર્જન અને તકનિકી ઉત્કૃષ્ટતા છે, પણ સાથે આ પ્રાચીન સ્થાપત્ય ભારતના ધૈર્યવાન ચરિત્રનો પરિચય આપે છે.

3. એલિફન્ટાની ગુફાઓ પરિચય આપો.
ઉત્તર :

  • મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઇથી 12 કિમી દૂર અરબસાગરમાં એલિફન્ટાની ગુફાઓ આવેલી છે.
  • એલિફન્ટાની ગુફાઓની કુલ સંખ્યા 7 છે.
  • આ જગ્યાને એલિફન્ટા નામ પોર્ટુગીઝોએ આપ્યું. એમણે આ નામ અહીં પથ્થરમાંથી કોતરેલા હાથીના શિલ્પના કારણે આપ્યું છે.
  • અહીંની ગુફાઓમાં અનેક સુંદર શિલ્પકૃતિઓ કંડારાઇ છે, જેમાં ત્રિમૂર્તિ(બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ) ની ગણના દુનિયાની સર્વોત્તમ મૂર્તિઓમાં થાય છે. એ ગુફા નંબર 1 માં આવેલી છે.
  • ઇ.સ. 1987માં યુનેસ્કો દ્વારા વૈશ્ચિક વારસાનાં સ્થળોમાં એલિફન્ટાને સ્થાન આપવામાં આવ્યું છે.
  • સ્થાનિક માછીમારો આ સ્થળને ધારાપુરી તરીકે ઓળખે છે.

4. મહાબલીપુરમ વિશે નોંધ લખો.
ઉત્તર :

  • તમિલનાડુ રાજ્યના ચેન્નાઈથી 60 કિમી દૂર મહાબલીપુરમ્ આવેલું છે.
  • તમિલનાડુનું આ શહેર પોતાના ભવ્ય મંદિર સ્થાપત્ય અને સાગર કિનારા માટે પ્રખ્યાત છે.
  • દક્ષિણ ભારતના પલ્લવ રાજા નરસિંહવર્મન પ્રથનના ઉપનામ મહામલ્લ પરથી આ નગરનું નામ મહાબલીપુરમ રાખવામાં આવ્યું છે.
  • પલ્લવ વંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં અહીં કુલ સાત રથ મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું. જો કે આજે પાંચ રથમંદિરો જ હયાત છે. બે રથ મંદિરો દરિયામાં વિલીન થઇ ગયાં છે.
  • આ ઉપરાંત અહીં હાસ્યમુદ્રામાં ભગવાન વિષ્ણુની મૂર્તિ તથા મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીનું શિલ્પ જોવા લાયક છે.
  • વિશ્વભરમાં ખડક શિલ્પનાં બેનમૂન સ્થાપત્યો ધરાવતું મહાબલીપુરમ પ્રાચીન ભારતનું એક જાણીતું બંદર પણ હતું.

5. પટ્ટદકલ વિશે માહિતી આપો.
ઉત્તર :

  • પટ્ટદકલ એ કર્ણાટક રાજ્યમાં બદામીથી 16 કિમી દૂર આવેલું નગર છે.
  • પટ્ટદકલ એ ચાલુક્ય વંશની રાજધાનીનું નગર હતું.
  • સાતમી–આઠમી સદીમાં નિર્માણ થયેલાં અહીંના મંદિરોમાં નાગર અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો જોવા મળે છે.
  • પટ્ટદકલનું સૌથી મોટું મંદિર વિરુપાક્ષ(શિવ) નું મંદિર છે.

6. ખજુરાહોના મંદિરો વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તર :

  • મધ્યપ્રદેશના છતરપુર જિલ્લામાં ખજુરાહો ખાતે મંદિરો આવેલા છે. ખજૂરાહો એ બુંદેલ ખંડના ચંદેલ રાજાઓનું રાજધાનીનું સ્થળ હતું.
  • આ રાજાઓના સમયગાળા(ઈ.સ. 950 થી 1050)માં અહીં 80 જેટલા મંદિરોનું નિર્માણ થયું. જો કે આજે 25 મંદિરો જ હયાત છે.
  • આ મંદિરોમાં મોટા ભાગના મંદિરો શૈવ મંદિરો છે. તો કેટલાંક વૈષ્ણવ અને જૈન મંદિરો છે.
  • આ બધા મંદિરોની રચનાશૈલી અને તેમનું શિલ્પવિધાન લગભગ સમાનતા ધરાવે છે.
  • આ મંદિરોમાં ચોસઠ યોગીનીનું મંદિર મુખ્ય છે. આ મંદિર તેની તોરણની અલંકારિક શૈલી માટે જાણીતું છે.
  • પ્રારંભિક સમયનાં આ બધા મંદિરો ગ્રેનાઇટના પથ્થરમાંથી બનાવવામાં આવેલ છે.
  • ખજુરાહોનાં મંદિરો નાગર શૈલીમાં નિર્માણ થયાં છે.
  • દેશ વિદેશના પ્રવાસીઓ ખજુરાહોનાં મંદિરોની શિલ્પકલા, મૂર્તિકલા અને વાસ્તુકલા જોઈ મંત્ર મુગ્ધ બને છે.

7. કોણાર્કના સૂર્ય મંદિરનો પરિચય આપો.
ઉત્તર :

  •  ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણાર્કનું સૂર્યમંદિર આવેલું છે.
  •  આ મંદિરનુ નિર્માણ 13 મી સદીમાં ગંગવંશના રાજા નરસિંહવર્મન પ્રથમના સમયમાં થયું.
  •  આ રથમંદિર સાત અશ્વો વડે ખેંચાતા સૂર્યના રથનું સ્વરૂપ પામ્યું છે.
  • વિશાળ રથ 12 વિશાળ પૈડાં રાવે છે. મંદિરના આધારને સુંદરતા પ્રદાન કરતા આ પૈડાં વર્ષના બાર મહિનાને પ્રતિબંધિત કરે છે. પૈડાંના પ્રત્યેક ચક્રમાં આઠ આરા છે. જે દિવસના આઠ પ્રહરને દર્શાવે છે. રૂપાંકનોની વિગત અને વિષય વૈવિધ્યની બાબતમાં આ મંદિર અદ્વિતીય છે.
  • આ મંદિરનું નિર્માણ કાળા પથ્થરોમાંથી થયું હોવાથી તેને 'કાળા પેગોડા' તરીકે પણ ઓળખવામાં આવે છે.
  • દિવ્ય, સાંસારિક અને સજાવટી એમ ત્રણેય પ્રકારના શિલ્પોમાં 13 મી સદીની ઓડિશાની સંસ્કૃતિ અને સભ્યતાનું પ્રતિબિંબ પડેલું જોવા મળે છે.

8. બૃહદેશ્વર મંદિર વિશે મુદ્દાસર નોંધ લખો.
ઉત્તર :

  • તમિલનાડુ રાજ્યના તાંજોર(થંજાવુર) માં બૃહદેશ્વર મંદિર આવેલું છે.
  • આ મંદિરનું નિર્માણ ઈ.સ. ૧૦૦૩ થી ઈ.સ. ૧૦૧૦ ના સમયગાળામાં થયું હતું. 
  • આ મંદિર મહાદેવ શિવનું હોવાથી તેને બૃહદશ્વેર મંદિર કહે છે.
  • આ મંદિર ચોલ વંશના રાજા રાજરાજ પ્રથમે બંધાવ્યું હોવાથી તેને રાજ રાજેશ્વર મંદિર પણ કહે છે.
  • આ મંદિર 500 ફૂટ લંબાઈ અને 250 ફૂટ પહોળાઈ ધરાવતા કોટવાળા ચોગાનમાં બનાવેલું છે.
  • આ મંદિરનું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે. જે તે સમયે બૃહદશ્વેર મંદિર ઊંચા શિખરવાળા મંદિરમાં સ્થાન પામતું.
  • ભવ્ય શિખર, વિશાળ કદમાં રહેલી સંવાદિતા અને કલાત્મક સુશોભનના કારણે આ મંદિર ભારતીય સ્થાપત્ય કલાનો બેનમૂન વારસો ધરાવે છે. તેવી જ રીતે દ્રવિડ શૈલીમાં નિર્માણ પામેલા આ મંદિર દક્ષિણ ભારતનો ભવ્ય મંદિરોમાં સ્થાન ધરાવે છે.
9. કુતુબમિનાર પર ટૂંક નોંધ લખો.
ઉત્તર :
  • કુતુબમિનાર દિલ્હીમાં આવેલ સલ્તનતકાલીન સ્થાપત્યનો ઉત્તમ નમૂનો છે.
  • કુતુબમિનારનું નિર્માણ 12 મી સદીમાં ગુલામ વંશના સ્થાપક કુતુબદ્દીન ઐબકે શરૂ કર્યું. જે તેના અવસાન બાદ તેના જમાઇ ઇલ્તુત્મીશે પૂર્ણ કરાવ્યું.
  • કુતુબમિનાર 72.5 મીટર ઊંચો છે. એનો ભૂતળનો ઘેરાવો 13.75 મી છે. જે ઊંચાઇ પર જતા તે 2.75 મી થાય છે.
  • કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવેલ છે. એની પર કુરાનની આયાતો કંડારવમાં આવેલ છે.
  • કુતુબમિનાર એ ભારતમાં પથ્થરોમાંથી બનાવેલ સૌથી ઊચ્ચો સ્તંભ મિનાર છે.
10. હમ્પી નગરનો સ્થાપત્ય કલાનો પરિચય આપો.
ઉત્તર :

  • હમ્પી કર્ણાટક રાજ્યના બેલ્લારી જિલ્લાના હોસપેટ તાલુકામાં આવેલ છે.
  • હમ્પી વિજયનગર સામ્રાજ્યની રાજધાનીનું સ્થળ હતું.
  • વિજયનગરના શાસકો કલાપ્રેમી હતાં.
  • તેમનાં રાજ્યકાળ દરમિયાન વિજયનગર રાજ્યમાં સ્થાપત્યની વિશિષ્ટ શૈલીનો વિકાસ થયો.
  • કૃષ્ણદેવરાય પ્રથમના સમયમાં આ સ્થાપત્ય શૈલી સર્વોચ્ય શિખરે પહોંચી.
  • વિજયનગર સ્થાપત્ય શૈલીની મુખ્ય વિશેષતા વિશાળ પથ્થરોને કોતરીને કરવામાં આવેલા ભવ્ય, ઊંચા અને કલાત્મક સ્તંભ છે.
  • સ્તંભ અને સ્તંભાવલીઓ પર દેવો, મનુષ્ય, પશુ, યોદ્ધા, નર્તકી વગેરેનાં ઘણાં સુંદર અને કલાત્મક શિલ્પો કંડારેલા છે.
  • વિજયનગર સામ્રાજ્યમાં હમ્પીનગરમાં કૃષ્ણદેવરાયના સમયમાં વિઠ્ઠલ મંદિર અને હજારા રામમંદિરનું નિર્માણ થયું.
  • આ ઉપરાંત અહીં વિરૂપાક્ષ મંદિર, શ્રીકૃષ્ણ અને અચ્યુતરાયનાં મંદિરો પણ આવેલાં છે.
11. હુમાયુના મકબરા વિશે માહિતી આપો.
ઉત્તર :

  • હુમાયુનો મકબરો દિલ્લીમાં આવેલ મુઘલકાલીન સ્થાપત્યનો શ્રેષ્ઠ નમૂનો છે.
  • હુમાયુના મૃત્યુ બાદ આ મકબરાનું નિર્માણ તેનાં પત્ની હમીદા બેગમે કરાવ્યું.
  • ઇરાની શૈલીમાં નિર્માણ પામેલ આ મકબરામાં લાલ પથ્થરની સાથે સફેદ પથ્થરોનો ઉપયોગ પણ કુશળતાપૂર્વક કરવામાં આવ્યો છે.
12. આગ્રાના કિલ્લા પર નોંધ લખો.
ઉતર :

  • ઉત્તરપ્રદેશના આગ્રા શહેરમાં આવેલ આ કિલ્લાનું નિર્માણ લાલ પથ્થરથી થયેલ હોવાથી તેને લાલ કિલ્લો કહે છે.
  • આ કિલ્લાનું બાંધકામ અકબરે ઇ.સ. 1565માં કરાવ્યું.
  • આગ્રાના કિલ્લા પર હિન્દુ અને ઇરાની શૈલીની સ્પષ્ટ છાપ જોવા મળે છે.
  • 70 ફૂટ ઊંચી દિવાલ ધરાવતા આ કિલ્લાનો ઘેરાવો દોઢ માઇલનો છે.
  • તેની રચનામાં લાલ પથ્થરો એવી રીતે કુશળતાપૂર્વક જોડેલા છે કે દિવાલમાં કયાંય તિરાડ દેખાતી નથી.
  • અકબરે આ કિલ્લામાં જહાંગીર મહેલનું બાંધકામ કરાવ્યું
  • જહાંગીર મહેલમાં ગુજરાતી અને બંગાળી શૈલીનાં સ્થાપત્યની અસર સ્પષ્ટપણે દેખાય છે.
  • શાહજહાંએ જિંદગીના અંતિમ દિવસો અહીં વિતાવ્યા હતા.
13. તાજમહેલ વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :
  • ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યના આગ્રામાં યમુના નદીના કિનારે તાજમહેલ આવેલ છે.
  • વિશ્વની સાત અજાયબીઓમાં સ્થાન ધરાવતા તાજમહેલનું નિર્માણ મુઘલ બાદશાહ શાહજહાંએ પોતાની બેગમ મુમતાજ મહલની યાદમાં કરાવ્યુ હતું.
  • ઇ.સ. 1630માં મુમતાજ મહલ અવસાન પામતાં 1631 માં તાજમહેલના બાંધકામની શરૂઆત થઇ અને 22 વર્ષ બાદ ઇ.સ. 1653માં તાજમહેલનું નિર્માણ કાર્ય પૂર્ણ થયું.
  • શાહજહાંએ તાજમહેલના નિર્માણ કાર્યમાં ભારતના કુશળ શિલ્પીઓ ઉપરાંત ઇરાની, અરબી, તુર્કી અને યુરોપીય શિલ્પીઓને રોક્યાં હતાં.
  • સંસારના અદ્વિતીય મકબરાઓમાં તાજમહેલની ગણના થાય અને એના દ્વારા મુમતાજ મહલનું નામ જગતભરમાં અમર થઇ જાય તેવી શાહજહાંની અંતરેચ્છા હતી.
  • તાજમહેલની સંપૂર્ણ ઇમારત ઉત્તરથી દક્ષિણ તરફ લંબચોરસ આકારે વિસ્તરેલી છે.
  • તાજમહેલની મધ્યમાં મુમતાજની કબર છે. અને તેની ચારેબાજુ ખુબ જ સુંદર અષ્ટકોણીય જાળી આવેલી છે. તેની કબર(મહેરાબ) પર એક ઉક્તિ લખી છે, ‘‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’
  • તાજમહેલ ભારતનાં સ્થાપત્ય કલાના વારસાને ગૌરવાન્વિત કરે છે અને દેશ વિદેશના પ્રવાસીઓ માટે તાજમહેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
14. લાલ કિલ્લા વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :
  • દિલ્હી સ્થિત લાલ કિલ્લાનું નિર્માણ શાહજહાંએ ઇ.સ. 1638માં કરાવ્યું હતું.
  • લાલ પથ્થરોમાંથી તૈયાર થયેલ આ કિલ્લામાં શાહજહાંએ પોતાના નામથી શાહજહાંનાબાદ વસાવ્યું હતું.
  • આ કિલ્લાની અંદર દીવાન–એ–આમ, દીવાન–એ–ખાસ, રંગમહેલ જેવી મનોહર ઇમારતો બંધાવી હતી.
  • દીવાન–એ–ખાસ અન્ય ઇમારતોની તુલનામાં વધુ અલંકૃત છે.
  • તેની સજાવટમાં સોનું, ચાંદી, કિંમતી પથ્થરોનો અદ્દભૂત સમન્વય થયો છે.
  • લાલ કિલ્લાની અન્ય ઇમારતોમાં રંગમહેલ, મુમતાજનો શીશ મહેલ, લાહોરી દરવાજા, મીના બજાર અને મુઘલ ગાર્ડન વગેરે આકર્ષણોનો સમાવેશ થાય છે.
  • આ જ કિલ્લામાં શાહજહાંએ કલાત્મક મયૂરાસનનું સર્જન કરાવ્યુ હતું. જેને નાદીરશાહ પોતાની સાથે ઇરાન લઇ ગયો હતો.
  • લાલ કિલ્લો મુઘલ સ્થાપત્યકલાની ઉત્કૃષ્ટ ઇમારતોમાં સ્થાન ધરાવે છે.
  • દરેક વર્ષે રાષ્ટ્રીય તહેવારોના પ્રસંગે આ કિલ્લા પરથી ધ્વજવંદના કરવામાં આવે છે.

15. ફતેહપુર સિકરી વિશે ટૂંકનોંધ લખો.
ઉત્તર :

  • ઉત્તર પ્રદેશના આગ્રાથી 26 માઇલ દૂર ફતેહપુર સિકરી આવેલું છે.
  • અકબરે સૂફી સંત સલીમ ચિસ્તીની યાદમાં આ શહેર વસાવ્યું હતું અને પોતાની રાજધાની બનાવી હતી.
  • સીકરીમાં ઇમારતોનું બાંધકામ કાર્ય ઇ.સ. 1569 માં શરૂ થયું અને ઇ.સ. 1572 સુધીમાં અહીં ઘણી ઇમારતો બંધાઈ.
  • આ ઇમારતોમાં બીરબલનો મહેલ, બીબી મરિયમનો સુનહલા મહેલ, તુર્કી સુલતાનનો મહેલ, જામે મસ્જિદ અને તેનો બુલંદ દરવાજો શ્રેષ્ઠ છે.
  • બુલંદ દરવાજો 41 મી પહોળો અને 50 મી ઊંચો છે.
  • ફતેહપુર સિકરીની બીજી જાણીતી ઇમારતોમાં જોધા બાઇનો મહેલ, પંચમહેલ, શેખ સલીમ, ચિસ્તીનો મકબરો, દીવાને–એ–આમ, દીવાન–એ–ખાસ અને જ્યોતિષ મહેલ નોંધપાત્ર છે.
16. ગોવાનાં સ્થાપત્ય વિશે મુદ્દાસર નોંધ તૈયાર કરો. 
                        અથવા 
ટૂંક નોંધ લખો : ગોવાના દેવળો 
ઉત્તર :

  • પોર્ટુગીઝો સાથે ખ્રિસ્તી ધર્મના ધર્મગુરુઓ પણ ભારતમાં આવ્યા.
  • ગોવા પોર્ટુગીઝોની રાજધાની હતી.
  • અહીં બેસાલીકા ઓફ બોમ જીસસ કે બેસાલીકા ઓફ ગુડ જીસસ દેવળ જૂના ગોવામાં આવેલું છે.
  • અહીં સેન્ટ ફ્રાન્સીસ ઝેવિયર્સનો પાર્થિવ દેહ સાચવીને મુકાયો છે. ઘણાં વર્ષો પછી પણ તેમનું પાર્થિવ શરીર વિકૃત થયું નથી.
  • આ ઉપરાંત ગોવામાં અનેક ચર્ચ આવેલા છે. 
  • ગોવા તેના રમણીય દરિયાકિનારા માટે જાણીતું છે.
17. ચાંપાનેરના સ્થાપત્યનો પરિચય આપો.
ઉત્તર :

  • ગુજરાતના પંચમહાલ જિલ્લામાં હાલોલ તાલુકામાં પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે.
  • મહેમુદ બેગડાએ ચાંપાનેર પર વિજય મેળવ્યા બાદ થોડા સમય માટે ચાંપાનેરને તેની રાજધાની બનાવી હતી અને તેને મુહમ્મદાબાદ નામ આપ્યું હતુ.
  • ચાંપાનેરમાં મોતી મસ્જિદ, જામી મસ્જિદ અને ઐતિહાસિક કિલ્લો આવેલ છે.
  • ચાંપાનેરની સ્થાપત્યકલાના અને ઐતિહાસિક મહત્વને ધ્યાને લઇ યુનેસ્કોએ તેને ઇ.સ. 2004 વૈશ્વિક વારસાનાં સ્થળોની યાદીમાં સમાવિષ્ટ કરેલ છે.
18. ધોળાવીરા અને લોથલ વિશે માહિતી આપો.
ઉત્તર :

  • ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતા.
  • ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.
  • ધોળાવીરા તેની આદર્શ નગર રચના માટે અને હડપ્પીય સંસ્કૃતિના વેપાર વાણિજ્યના કેન્દ્ર માટે જાણીતું છે.
  • આજથી લગભગ 5000 વર્ષ પહેલાં આ નગરમા ઘરેણાં બનાવવાનાં તથા મણકા બનાવવાનાં કેન્દ્રો જોવા મળે છે.
  • લોથલ અમદાવાદ–ભાવનગર હાઇવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે. જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર હતું.
19. જૂનાગઢનો સ્થાપત્ય વર્ણવો.
ઉત્તર :

  • જૂનાગઢમાં અશોકના શિલાલેખ, ખાપરા, કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મહાબતખાનનો મકબરો, બહાઉદ્દીન વજીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે.
  • મહાશિવરાત્રિએ ગિરનાર તળેટીમાં ભવનાથનો મોટો મેળો ભરાય છે.
20. અમદાવાદની સ્થાપત્ય કલાનો પરિચય આપો.
ઉત્તર :

  • અમદાવાદની ઓળખ ઐતિહાસિક નગરી તરીકે કરી શકાય.
  • અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સીપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સિદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાં, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
  • સારંગપુર દરવાજા બહાર રાજપુર–ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
  • અતિશય બારીક અને સુંદર વાનસ્પતિક અને ભૌમિતિક રચનાના કારણે સીદી સૈયદની જાળી પ્રખ્યાત છે.
21. પાટણનું સ્થાપત્ય વર્ણવો.
ઉત્તર :

  • પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે.
  • પાટણથી 26 કિમી દૂર આવેલ સિદ્ધપુરમાં રૂદ્ર મહાલયના ભગ્ન અવશેષો મહેલની ભવ્યતાનો પરિચય આપે છે.
  • ભીમદેવ પહેલાનાં રાણી ઉદયમતિએ પ્રજા માટે પાણીની વ્યવસ્થા પૂરી કરવા વાવનું નિર્માણ કરાવ્યું જેને આજે રાણીની વાવ કહે છે.
  •  ઇ.સ. 2014મા યુનેસ્કો દ્વારા વૈશ્વિક વારસાના સ્થળોમાં આ વાવનો સમાવેશ થયો છે.
  • રાણીની વાવ એ વાતની પ્રતીતિ કરાવે છે કે પ્રાચીન સમયમાં પણ જળ વ્યવસ્થાપનની કેટલી સુંદર વ્યવસ્થા હતી. પાટણમાં ઇ.સ. 1140 માં સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ બંધાવ્યું.
22. ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સ્થળો પર નોંધ તૈયાર કરો.
ઉત્તર : 
  • ગુજરાત શિલ્પ સ્થાપત્ય કલા ક્ષેત્રે આગવું સ્થાન ધરાવે છે. અહીં ગુફા, સ્થાપત્યો, મંદિરો, મસ્જિદો, કિલ્લાઓ, વાવ, તોરણો એમ બહુવિધ સ્થાપત્ય ક્ષેત્રો જોવા મળે છે.
  • ધોળાવીરા અને લોથલ બન્ને સિંધુ સભ્યતાનાં નગર હતા.
  • ધોળાવીરા કચ્છના ભચાઉ તાલુકાના ખદીર બેટમાં આવેલ છે.
  • લોથલ અમદાવાદ–ભાવનગર હાઇવે નજીક આવેલું એક પુરાતત્વીય સ્થળ છે જે પ્રાચીન સમયમાં વેપાર વાણિજ્યથી ધીકતું અને સુવિધાઓથી સજ્જ હડપ્પીયન સંસ્કૃતિનું બંદર છે.
  • જુનાગઢમાં અશોકના શિલાલેખ, ખાપરા, કોડિયાની બૌદ્ધ ગુફાઓ ઉપરકોટ, જૈન મંદિરો, દામોદર કુંડ, અડીકડીની વાવ, જૂનો રાજમહેલ, નવઘણ કૂવો, મહાબતખાનનો મકબરો, બહાઉદ્દીન વઝીરનો મકબરો વગેરે જોવાલાયક સ્થળો છે.
  • અમદાવાદમાં ભદ્રનો કિલ્લો, જામા મસ્જિદ, રાણી સીપ્રીની મસ્જિદ, સરખેજનો રોજો, કાંકરિયા તળાવ, ઝુલતા મિનારા, સીદી સૈયદની જાળી, હઠીસિંહના દેરાં, રાણી રૂપમતીની મસ્જિદ વગેરે જોવાલાયક સ્થાપત્યો છે.
  • સાંરગપુર દરવાજા બહાર રાજપુર–ગોમતીપુરમાં આવેલા ઝુલતા મિનારા તેના કંપનના વણ ઉકલ્યા રહસ્ય માટે જાણીતા છે.
  • પાટણમાં સહસ્ત્રલિંગ તળાવ, રાણીની વાવ અને સિદ્ધપુરમાં આવેલ રુદ્રમહાલય જોવાલાયક સ્થાપત્યો છે.
  • વડનગરમાં કિલ્લો, શર્મિષ્ઠા તળાવ અને કીર્તિતોરણ જોવાલાયક સ્થળો છે. પથ્થરના બે સ્તંભ પર કમાન જેવી રચના કરીને આ તોરણ બનાવ્યાં છે.
  • શામળાજી મંદિર મેશ્વો નદીના કિનારે આવેલું પ્રાચીન યાત્રા સ્થળ છે. તેની સ્થાપત્ય કલા બેનમૂન છે.
  • ક્ષત્રપકાળ દરમિયાન ગુજરાતમાં કેટલાક સ્તૂપ અને વિહારોનું નિર્માણ થયું, એમાં જુનાગઢ જિલ્લાના બોરદેવી તથા શામળાજી નજીકના દેવની મોરી, જૂનાગઢ ગિરનારમાં ઇટવા બૌદ્ધ સ્તૂપના અવશેષ પ્રાપ્ત થયા છે.
  • એ ઉપરાંત બાવાપ્યારા, ઉપરકોટ, ખાપરા કોડિયા, ખંભાલિડા, તળાજા, સાણા, ઢાંક, ઝીંઝુરીઝર, કડિયા ડુંગર વગેરે સ્થળોએ ગુફા સ્થાપત્યો આવેલ છે.
  • ગાંધીનગર પાસે અડાલજની વાવ, પાટણની રાણીની વાવ, જૂનાગઢની અડી કડીની વાવ, ઉપરાંત નડિયાદ, મહેમદાબાદ, ઉમરેઠ, કપડવંજ, વઢવાણ, કલેશ્વરી(મહીસાગર જીલ્લો) વગેરે સ્થળોએ પણ વાવો આવેલી છે.
  • ભાવનગર જિલ્લાના પાલીતાણાના શેત્રુંજય પર્વત પર અનેક જૈન દેરાસર આવેલો છે. એમાંથી કેટલાક દેરાંઓનું નિર્માણ 11મી સદીમાં થયું છે.
  • મહેસાણા જિલ્લાના ખેરાલું તાલુકાના ટીંબા ગામની નજીક આવેલી ટેકરીઓ પર તારંગા તીર્થ આવેલું છે. અહીં તારામાતાનું મંદિર પણ છે.
  • ગીર સોમનાથ જિલ્લામાં આવેલ સોમનાથ મંદિર અને દેવભૂમિ દ્વારકાનું દ્વારકાધીશ મંદિર ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે.
  • ગુજરાતના સાંસ્કૃતિક વારસાની આ યાદી હજુ પૂર્ણ નથી. આ સિવાય અન્ય સ્થળો પણ છે, એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરે છે.
23. દક્ષિણ ભારતમાં પ્રાચીન મંદિરો વિશે નોંધ લખો.
ઉત્તર :

  • દક્ષિણ ભારતનાં મંદિરો તેની અલગ શૈલી માટે ખાસ વિખ્યાત હતાં. દક્ષિણ ભારતનાં મંદિરો દ્રવિડ શૈલીના હતા.
  • આ મંદિરોનું પિરામીડ પ્રકારનું ભવન જોવા મળે છે જેના અનેક માળ હોય છે. એની ઉપર એક આકર્ષક પથ્થર મુકવામાં આવતો.
  • આ મંદિરોનું ચોગાન વિશાળ હતું. દક્ષિણ ભારતના પ્રાચીન સમયમાં નિર્માણ પામેલા કેટલાંક મંદિરો આ મુજબ છે.
મંદિરનું નામ
સ્થળ

મહાબલીપુરમ

મહાબલીપુરમ – તમિલનાડુ

કૈલાસ મંદિર

કાંચીપુરમ – તમિલનાડુ

બૃહદેશ્વર મંદિર

તાંજોર – તમિલનાડુ

વિરૂપાક્ષ મંદિર

પટ્ટદકલ – કર્ણાટક

પરશુરામેશ્વર મંદિર

ભુવનેશ્વર – ઓડિશા

વૈકુંઠ પેરૂમાળ મંદિર

કાંચીપુરમ – તમિલનાડુ


24. ભારતમાં તીર્થ સ્થાનો સમજાવો.
ઉત્તર :

  • પ્રાચીન સમયથી ભારત તીર્થભૂમિ રહ્યું છે.
  • ભારતના લોકો વિવિધ તીર્થસ્થાનોની યાત્રાએ જાય છે.
  • ભારતમાં ચારધામ યાત્રા અને બાર જ્યોતિર્લિંગની યાત્રા પ્રચલિત છે.
  • ચાર ધામમાં બદ્રીનાથ(ઉત્તરાખંડ), રામેશ્વરમ(તમિલનાડુ), દ્વારકા(ગુજરાત) અને જગન્નાથપુરી(ઓડીશા) નો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત 51 શક્તિપીઠોની અને અમરનાથની યાત્રા પણ મહત્વની ગણાય છે.
  • ગિરનાર(લીલી પરિક્રમા), શેત્રુંજય અને નર્મદાની પરિક્રમાનું પણ અનેરું મહત્વ છે.
  • ભારત સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનો ભંડાર છે.
  • આમ, ભારતના સાંસ્કૃતિક વારસાનાં સ્થળોએ વિશ્વમાં ભારતને એક અલગ ઓળખ આપી છે.
  • દેશ-વિદેશના પ્રવાસીઓ ભારતની સ્થાપત્યકલાની મુલાકાતે નિયમિત આવતા રહે છે અને તેનાથી દેશના પર્યટન ઉદ્યોગને આર્થિક લાભ થાય છે.
  • યુનેસ્કોએ વૈશ્વિક વારસાનાં સ્થળોમાં ભારતના 32 જેટલા પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના સ્થળો સમાવિષ્ટ કર્યો છે.