1. ભારતમાં કૃષિ ક્ષેત્રનો વિકાસ કેવા કારણોથી અધૂરો થયો છે?
Ø ફળદ્રુપ મેદાનો, બારેમાસ પાક લઇ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઇ, કુશળ અને મહેનતુ ખેડૂતો વગેરેને લીધે ભારતના મોટાભાગના વિસ્તારમાં બે કે તેથી વધુ પાકનું વાવેતર કરી શકાય છે. તેમ છતાં ભારતમાં ખેતી ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી.
Ø ભારતનો ખેડૂત એકંદરે ગરીબ અને નિરક્ષર છે.
Ø સિંચાઇની અપૂરતી સગવડ, અનિયમિત અને અનિશ્ચિત વરસાદ, વધારે વસ્તી, કુટુંબનું મોટું કદ, નાના કદના ખેતરો, પ્રયોગશીલતા પ્રત્યેનું ઉદાસીન વલણ ઉત્પાદકતા ઘટાડે છે.
Ø આ ઉપરાંત રાસાયણિક ખાતરો, સુધારેલાં બિયારણ, આધુનિક યંત્રો અને વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિનો ઓછો ઉપયોગ, શિક્ષિત વર્ગનું ખેતીમાં ન જોડાવું તેમ જ સમાજમાં ખેતીનો કહેવાતો ઉતરતો દરજ્જો વગેરેને લીધે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતમાં ઉત્પાદન પ્રમાણમાં ઓછું છે.
2. ભારતમાં ખેતીના પ્રકારો વિશે વિસ્તૃત સમજ આપો.
Ø ભારતના લોકોની સામાજિક–આર્થિક સ્થિતિ, રાષ્ટ્રીય રાજનીતિ અને ભારતનું સમગ્ર અર્થતંત્ર ખેતી સાથે જોડાયેલું છે. સિંચાઇ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર જેવી બાબતોના આધારે ખેતીના પ્રકારો પાડવામાં આવે છે.
Ø જીવનનિર્વાહ ખેતી :
Ø આઝાદી પછી આયોજન પંચની અનેક ખેતવિકાસ યોજનાઓ અમલમાં લાવવા છતાં ભારતના ખેડૂતની આર્થિક સ્થિતિ આજે પણ પ્રમાણમાં નબળી છે.
Ø નાના કદના ખેતરોમાં મોઘાં બિયારણો, ખાતર અને જંતુનાશકોનો ઉપયોગ કરવો પોષાય તેમ નથી.
Ø ખેતરમાં થતું અનાજનું ઉત્પાદન પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે જે તેના કુટુંબના ભરણપોષણમાં જ વપરાઇ જાય છે. તેને જીવનનિર્વાહ ખેતી કે આત્મનિર્વાહ ખેતી કહે છે.
Ø આથી ભારતીય ખેતી આજે પણ મોટાભાગના વિસ્તારમાં જીવનનિર્વાહ પ્રવૃત્તિ જ ગણાય છે.
Ø સૂકી ખેતી :
Ø જ્યાં વરસાદ ઓછો પડે છે, સિંચાઈની અપૂરતી સગવડ અને ખેતી માત્ર વરસાદ પર આધારિત હોય તેવા વિસ્તારોમાં માત્ર જમીનમાં સંગ્રહાયેલા ભેજના આધારે એક જ પાક લઇ શકાય છે. આ ખેતીને સૂકી ખેતી કહે છે.
Ø અહી જૂવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાકોની ખેતી થાય છે.
Ø ગુજરાતના ભાલ પ્રદેશમાં ચોમાસુ પૂરું થયા બાદ ભેજવાળી જમીનમાં આ રીતે ઘઉં અને ચણાનો પાક લેવામાં આવે છે.
Ø આર્દ્ર ખેતી :
Ø જ્યાં વરસાદનું પ્રમાણ વધુ છે અને સિંચાઇની સગવડ પણ વધુ છે. તેવા વિસ્તારોમાં આર્દ્ર ખેતી કરવામાં આવે છે.
Ø વરસાદ ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઇ દ્વારા વર્ષમાં એક કરતા વધુ પાક લઇ શકાય છે. જેમાં ડાંગર, કપાસ, ઘઉં, શેરડી અને શાકભાજીની ખેતી કરાય છે.
Ø સ્થળાંતરિત ખેતી :
Ø આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષોને કાપીને તેને સળગાવીને જમીન સાફ કરી ત્યાં ખેતી કરાય છે. અહીં બે–ત્રણ વર્ષ ખેતી કરાય છે. જમીનની ફળદ્રુપતા ઘટતા આ વિસ્તાર છોડી દઇને બીજી જગ્યાએ આજ રીતે ખેતી શરૂ કરવામાં આવે છે તેને ઝૂમ ખેતી અથવા સ્થળાંતરિત ખેતી કહે છે.
Ø આ ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે. આ ખેતીમાં ઉત્પાદન ખૂબ ઓછું થાય છે.
Ø બાગાયતી ખેતી :
Ø બાગાયતી ખેતી એક ખાસ પ્રકારે થતી ખેતી છે. એમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર, ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, ખારેક વગેરે ફળોની ખૂબ જ માવજત સાથે ખેતી કરાય છે.
Ø આ પ્રકારની ખેતીમાં વધુ મૂડી રોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઇ, પરિરક્ષણ, સંગ્રહણ અને પરિવહનની પર્યાપ્ત સુવિધા હોવી જરૂરી છે.
Ø સઘન ખેતી :
Ø જ્યાં સિંચાઇની સુવિધા વધારે છે ત્યાં રાસાયણિક ખાતરો, કીટનાશકો અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોના વ્યાપક ઉપયોગથી ખેતીમાં યાંત્રિકીકરણ આવી ગયું છે. આ પ્રકારે થતી ખેતીને સઘન ખેતી કહે છે. આ ખેતીમાં રોકડિયા પાકોનું વાવેતર વધારે કરાય છે. અહીં હેકટર દીઠ ઉત્પાદનમાં ખૂબ જ વધારો થયેલ છે અને આ પ્રકારની ખેતી હેઠળનો વિસ્તાર સતત વધતો જાય છે.
Ø આ ખેતીમાં આર્થિક વળતરને મહત્વ અપાતું હોવાથી તેને વ્યાપારી ખેતી પણ કહે છે.
3. ભારતમાં પ્રચલિત કૃષિપદ્ધતિ વિશે માહિતી આપો.
Ø ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, મિશ્ર ખેતી વગેરે વિવિધ ખેત પદ્ધતિઓ પ્રચલિત છે.
Ø સજીવ ખેતી :
Ø જે પ્રમાણે રાસાયણિક ખાતર અને કીટનાશકોનો વપરાશ થઇ રહ્યો છે. તેનાથી રસાયણોની નુકશાનકારક અસરો પણ ધીરે ધીરે વધવા લાગી છે.
Ø અનાજ, શાકભાજી તથા ફળોમાં રસાયણો અને જંતુનાશકોની હાજરીને લીધે લોકોના સ્વાસ્થ્ય પર વિપરિત અસર થઇ છે. પર્યાવરણને પણ વધારે નુકશાન થયું છે.
Ø જમીનની ઉત્પાદકતા અને ફળદ્રુપતા ઘટવા લાગ્યા, જેના કારણે લાંબા સમય પછી આ જમીનમાં પાકનું ઉત્પાદન અને ગુણવત્તા બંને ઘટી ગયા.
Ø સજીવ ખેતી એટલે ખેતીની એવી પદ્ધતિ જેમાં યુરિયા અને બીજા કોઇપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
Ø પાકના પોષણ માટે છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતરો વગેરે તથા પાક સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરે વાપરવામાં આવે છે.
Ø સજીવ ખેતીની પેદાશો પોષણયુક્ત હોય છે. એમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે.
Ø તેમાં વધુ ખનીજ, વિટામીન અને જીવન શક્તિ આપતાં તત્વો હોય છે.
Ø જૈવિક ખેત પેદાશોની અત્યારે ખૂબ જ માંગ છે. એટલે ખેડૂતને વળતર પણ સારું મળે છે.
Ø ટકાઉ ખેતી :
Ø આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઇ રહે તે માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નિંદણ નિયંત્રણ માટે જતુંનાશકોના બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની વિશેષ કાળજી લેવામાં આવે છે.
Ø મિશ્ર ખેતી :
Ø આ ખેતીમાં ખેતીની સાથે પશુપાલન, મરઘાં બતકાં ઉછેર, મધમાખી અને મત્સ્ય ઉછેર જેવી પ્રવૃતિ કરવામાં આવે છે.
4. ઋતુઓના સંદર્ભમાં લેવામાં આવતા કૃષિ પાકના પ્રકારો સમજાવો.
Ø ભારતમાં ઋતુઓના સંદર્ભમાં કૃષિ પાકને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. (1)ખરીફ પાક (2) રવિ પાક (3) જાયદ પાક
Ø ખરીફ(ચોમાસુ) પાક :
Ø ચોમાસામાં લેવામાં આવતા પાકને ખરીફ પાક કહે છે.
Ø પાકનો સમય જૂન–જૂલાઇથી ઓક્ટોબર–નવેમ્બર સુધીનો હોય છે.
Ø ડાંગર, મકાઇ, જુવાર, બાજરી, કપાસ, તલ, મગફળી અને મઠ–મગ વગેરે ખરીફ પાક છે.
Ø રવી(શિપાળુ) પાક :
Ø શિયાળામાં લેવામાં આવતા પાકને રવી પાક કહે છે.
Ø પાકનો સમય ઓક્ટોબર–નવેમ્બરથી માર્ચ–એપ્રિલ સુધીનો હોય છે.
Ø ઘઉં, ચણા, જવ, સરસવ, રાયડો, અળસી વગેરે રવી પાક છે.
Ø જાયદ(ઉનાળું) પાક :
Ø ઉનાળામાં લેવામાં આવતા પાકને જાયદ પાક કહે છે.
Ø પાકનો સમય માર્ચથી જૂન સુધીનો હોય છે.
Ø ડાંગર, મકાઇ, મગફળી, તેલ, બાજરી તથા તરબૂચ, કાકડી અને શક્કર ટેટી વગેરે જાયદ પાક છે.
5. ભારતના મુખ્ય કૃષિ પાક વિશે નોંધ લખો.
Ø ભૌગોલિક પરિસ્થિતિ, આબોહવા, જમીનની વિવિધતા વરસાદના પ્રમાણમાં રહેલી ભિન્નતાને કારણે ભારતના જુદા–જુદા ભાગોમાં વિવિધ પ્રકારના પાકોનું વાવેતર કરવામાં આવે છે.
Ø ધાન્ય પાક :
Ø ડાંગર, ઘઉં, જુવાર, બાજરી, મકાઇ, જવ વગેરે ધાન્ય પાક લેવાય છે.
Ø કઠોળ પાક :
Ø તુવેર, મગ, ચણા, વટાણા, વાલ, મઠ, અડદ, મસુર વગેરે કઠોળ પાક લેવામાં આવે છે.
Ø તેલીબિયાં :
Ø મગફળી, તલ, સોયાબિન, એરડાં, સરસવ, સૂર્યમુખી, નાળિયેર, અળસી વગેરે તેલીબિયાં પાક લેવામાં આવે છે.
Ø પીણાં :
Ø ચા, કોફી, કોકો વગેરે પીણાં લેવામાં આવે છે.
Ø રોકડિયા પાક :
Ø કપાસ, શેરડી, શણ, તમાકુ, રબર વગેરે રોકડિયા પાક લેવામાં આવે છે.
Ø ઔષધીય પાક અને મસાલા :
Ø જીરૂ, વરિયાળી, ઇસબગૂલ, ધાણા, મેથી, અજમો, કાળાં મરી, લસણ વગેરે મસાલા અને ઔષધીય પાક લેવામાં આવે છે.
Ø ફળ :
Ø કેરી, કેળાં, ચીકું, પપૈયાં, દ્રાક્ષ, બોર, સફરજન, જામફળ વગેરે ફળો લેવામાં આવે છે.
Ø શાકભાજી :
Ø ભીંડા, બટાટા, રીંગણ, ટામેટા, કોબીજ, ફલાવર, દૂધી, તુરિયા વગેરે વિવિધ શાકભાજી લેવામાં આવે છે.
6. ભારતમાં કેટલા વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કેટલું ઉત્પાદન થાય છે?
Ø ભારતમાં કુલ વાવેતર વિસ્તારના લગભગ 75% વિસ્તારમાં ધાન્ય પાકની ખેતી થાય છે અને કુલ ઉત્પાદનના આશરે 50% ઉત્પાદન ધાન્ય પાકમાંથી મળે છે.
7. ડાંગર અથવા ચોખાના પાક પર ટૂંક નોંધ લખો.
Ø ડાંગર એ આપણો સૌથી મહત્વનો ધાન્ય પાક છે. વિશ્વની મોટા ભાગની વસ્તી અને ભારતમાં લગભગ અડધી વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે.
Ø ડાંગરના ઉત્પાદનમાં વિશ્વમાં ચીન પછી ભારત બીજા ક્રમે છે.
Ø ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગ પર ડાંગર રોપવામાં આવે છે.
Ø ડાંગર એ ઉષ્ણ કટિબંધીય પાક છે.
Ø વધુ ઉત્પાદન માટે ગરમ અને ભેજવાળી આબોહવા લઘુતમ 20 સે. તાપમાન, નદીઓના કાંપની જમીન અને 100 સેમી કે તેથી વધુ વરસાદ જરૂરી છે.
Ø ઓછા વરસાદવાળા વિસ્તારો પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં સિંચાઇથી આ પાક લેવાય છે.
Ø ડાંગરની ખેતીમાં માનવશ્રમની વધુ જરૂરિયાત રહે છે.
Ø પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. આ રાજ્યોમાં વર્ષમાં બે કે ત્રણ વાર પાક લેવાય છે.
Ø ગુજરાતમાં સુરત, તાપી, પંચમહાલ, અમદાવાદ, ખેડા, આણંદ, વલસાડ વગેરે જિલ્લામાં ડાંગરનું વાવેતર થાય છે.
Ø ડાંગર એ પાણીની વધુ જરૂરિયાતવાળો પાક હોવા છતાં ડાંગરના ખેતરમાં સતત પાણી ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઇ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક લેવામાં આવે છે.
8. ઘઉંના પાક પર ટુંક નોધ લખો.
Ø ડાંગર પછી ઘઉં એ આપણા દેશનો બીજો મહત્વનો ધાન્ય પાક છે.
Ø ભારતની એક તૃતીયાંશ ખેત ભૂમિ પર ઘઉંની ખેતી કરવામાં આવે છે.
Ø ઘઉં દેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં વસતા લોકોનો મુખ્ય ખોરાક છે.
Ø એ સમશીતોષ્ણ કટિબંધીય રવી પાક છે.
Ø ઘઉંના પાક માટે કાળી કે ફળદ્રુપ ગોરાડુ જમીન અને 75સેમી વાર્ષિક વરસાદ જરૂરી છે.
Ø સિંચાઇની મદદથી ઓછા વરસાદવાળા ભાગમાં પણ ઘઉં ઉગાડવામાં આવે છે.
Ø 100 સેમીથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંનું વાવેતર થતું નથી.
Ø ઘઉંની ખેતીમાં યાંત્રીકીકરણ થયું હોવાથી શ્રમીકોની ઓછી જરૂર પડે છે.
Ø હરિયાળી ક્રાંતિ બાદ ઘઉંનું ઉત્પાદન લગભગ બમણું થયું છે.
Ø ઘઉંની ખેતી મુખ્યત્વે પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તરપ્રદેશમાં થાય છે.
Ø દેશમાં કુલ ઘઉં ઉત્પાદનના બે તૃતીયાંશ ભાગ આ રાજ્યોનો હોય છે.
Ø આ રાજ્યોમાં સિંચાઇની સગવડ હોવાથી ત્યાં હેકટર દીઠ ઉત્પાદન વધારે થાય છે.
Ø પંજાબમાં નહેરોના પાણીને લીધે ઘઉંનો વિપુલ પાક થાય છે. એટલે તો પંજાબને ઘઉંનો કોઠાર કહેવામાં આવે છે.
Ø મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોમાં પણ ઘઉંનું વાવેતર થાય છે.
Ø ગુજરાતમાં ભાલ વિસ્તારમાં ભાલિયા ઘઉં થાય છે. આ ઉપરાંત મહેસાણા, રાજકોટ, જૂનાગઢ, ખેડામાં ઘઉં થાય છે.
Ø રોજિંદા ખોરાકમાં વપરાતા સર્વ પ્રકારના અનાજમાં ઘઉં શ્રેષ્ઠ છે.
Ø ઘઉંના લોટમાંથી રોટલી, ભાખરી, સેવ, શીરો, લાપસી, લાડુ, સુખડી, પાઉં, પૂરી, કેક, બિસ્કીટ વગેરે અનેક વાનગીઓ બને છે.
Ø બધા પ્રકારના અનાજ કરતા ઘઉંમાં પૌષ્ટિક તત્વો વધારે છે.
Ø આથી જ ઘઉં અનાજનો રાજા ગણાય છે.
Ø જુવાર, બાજરી, મકાઇ, જવ એ ભારતમાં ઉગાડવામાં આવતાં મુખ્ય જાડાં ધાન્ય છે.
10. જુવાર વિશે ટૂંકનોંધ લખો.
Ø ડાંગર અને ઘઉં પછી જુવાર એ ભારતમાં સૌથી વધુ ઉત્પન્ન થતું ધાન્ય છે.
Ø દક્ષિણના ઉચ્ચ પ્રદેશમાં સૂકા અને ઓછા વરસાદવાળા વિસ્તારોમાં આ પાકનું વિશાળ પ્રમાણમાં વાવેતર કરાય છે.
Ø જુવાર ખરીફ અને રવી પાક છે.
Ø ૨૫ ડીગ્રી થી ૩૦ ડીગ્રી સેલ્સિયસ તાપમાન, ૫૦ સેમી જેટલો વરસાદ તેમજ કાળી અને ગોરાડું જમીન આ પાકને અનુકુળ આવે છે.
Ø મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ગુજરાત વગેરે રાજ્યોમાં વધારે ઉત્પાદન થાય છે.
Ø ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર સુરત અને તાપી જિલ્લામાં થાય છે.
Ø જુવાર લીલા પશુચારા તરીકે વિશેષ વપરાય છે.
11. બાજરી વિશે માહિતી આપો.
Ø બાજરી એ શ્રમજીવીઓનું ધાન્ય ગણાય છે.
Ø 25
Ø રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર વગેરે તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
Ø ગુજરાતમાં બાજરીના વાવેતરમાં બનાસકાંઠા જિલ્લો મોખરે છે.
12. મકાઇના પાક પર નોંધ લખો.
Ø મકાઇ એ ધાન્ય ખરીફ પાક છે.
Ø ડાંગર અને ઘઉં પછી વિશ્વમાં મકાઇનું સૌથી વધુ વાવેતર થાય છે.
Ø મકાઇનો પાક ડુંગરાળ વિસ્તારોમાં વધુ થાય છે અને ત્યાંના લોકોનો મુખ્ય ખોરાક છે.
Ø મકાઇમાં મુખ્યત્વે સ્ટાર્ચ, તેલ, પ્રોટીન, બાયો ફયુઅલ જેવાં ઘટકો હોવાથી તેનો ઔદ્યોગિક પેદાશમાં ઉપયોગ વધી રહ્યો છે.
Ø મકાઇના પાકનો ઢોળાવવાળી, કાળી, કઠણ, પથરાળ, પાણીના નીતારવાળી જમીન માફક આવે છે.
Ø 50-100 સેમી વરસાદ, 21
Ø પશુ આહારમાં, ધાણી તરીકે તેમજ મકાઇના તેલના ઉત્પાદનમાં મકાઈનો ઉપયોગ વધી રહ્યો છે.
Ø રાજસ્થાન, બિહાર, મધ્યપ્રદેશ, પંજાબ, જમ્મુ કશ્મીર, હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
Ø ગુજરાતમાં પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લીમાં મકાઇનું વધુ વાવેતર થાય છે.
13. કૃષિ પાક કઠોળ વિશે સમજાવો.
Ø શાકાહારી લોકો માટે કઠોળ એ પ્રોટીન સ્ત્રોત છે.
Ø તુવેર, મગ, અડદ, મઠ. ચણા, વાલ, વટાણા, વગેરે કઠોળ પાક ગણાય છે.
Ø તુવેર, અડદ, મગ, મઠ એ ખરીફ પાક છે. ચણા, વટાણા તેમજ મસુર એ રવિ પાક છે.
Ø વધુ વરસાદવાળા વિસ્તારો સિવાય લગભગ બધાં જ રાજ્યોમાં કઠોળનું વાવેતર કરાય છે.
Ø મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, બિહાર, આંધ્રપ્રદેશ વગેરે તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
Ø ગુજરાતમાં તુવેરનુ વડોદરા જિલ્લામાં, મગ–મઠ કચ્છ જિલ્લામાં અને અડદનું પાટણ જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે.
Ø કઠોળના પાક દ્રારા નાઇટ્રોજનનું જમીનમાં પુન: સ્થાપન થાય છે. તેથી ધાન્યપાક સાથે કે ધાન્ય પાકો બાદ જમીનની ફળદ્રુપતા જાળવવા કઠોળનું આંતરપાક તરીકે વાવેતર થાય છે.
14. તેલીબિયા પાકના નામ જણાવી તેની ઉપયોગીતા ચર્ચો.
Ø મગફળી, તલ, સોયાબિન, એરંડા, સરસવ, સૂર્યમુખી, અળસી વગેરે તેલીબિયા પાક ગણાય છે.
Ø ભારતીય ભોજનમાં તેલનું ખુબ જ મહત્વનું સ્થાન છે.
Ø તેલીબિયાંમાંથી ખાદ્યતેલ ઉપરાંત દાણામાંથી તેલ કાઢી લીધા પછી વધતો ખોળ પશુઓના ખોરાક અને સેન્દ્રિય ખાતર તરીકે વપરાય છે.
15. મગફળીના પાક વિશે વિસ્તૃત માહિતી આપો.
Ø મગફળી એ તેલીબિયાં પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
Ø મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતીમિશ્રિત, પાણી ન ભરાઇ રહે
તેવી જમીન 20
Ø મગફળી ખરીફ અને સિંચાઇની સગવડ હોય ત્યાં ઉનાળુ પાક તરીકે પણ વવાય છે.
Ø ગુજરાત, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
Ø મગફળી ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ચીન પછી બીજો ક્રમ છે.
Ø દેશમાં કુલ મગફળી ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે છે. જુનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લામાં મગફળી વવાય છે. ગુજરાતમા ખાદ્યતેલ તરીકે સિંગતેલ વિશેષ વપરાય છે.
16. તલના વાવેતર પર ટૂંકનોંધ લખો.
Ø સદીઓથી ભારતમાં તલના તેલનો વપરાશ થાય છે.
Ø ઉત્તર ભારતમાં તે વરસાદ પર આધારિત ખરીફ પાક છે.
Ø દક્ષિણ ભારતમાં રવી પાક તરીકે અને ક્યારેક જાયદ પાક તરીકે પણ વવાય છે.
Ø લગભગ બધાં જ રાજ્યોમાં તલનું વાવેતર થાય છે.
Ø બધાં જ તેલીબિયાંમાં તલ સૌથી વધુ તેલનું પ્રમાણ ધરાવે છે.
Ø દુનિયાના લગભગ દરેક ભાગમાં ખાદ્યતેલ તરીકે વપરાય છે.
Ø ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક, મધ્યપ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
Ø ગુજરાત સમગ્ર દેશમાં તલના ઉત્પાદન અને વાવેતર વિસ્તારમાં પ્રથમ ક્રમે છે.
Ø ગુજરાતમાં સૌથી વધુ વાવેતર બનાસકાંઠા જિલ્લામાં થાય છે.
Ø ભારત વિશ્વમાં તલની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.
17. સરસવ વિશે માહિતી આપો.
Ø સરસવ એ રવી પાક છે.
Ø ઉત્તર ભારતનો મહત્વનો તેલીબિયાં પાક છે.
Ø સરસવનાં બીજ અને તેના તેલને ઔષધીય તેમ જ ખાદ્ય તેલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે.
Ø રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, ગુજરાત અને મધ્ય પ્રદેશ તેનાં મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
18. નાળિયેરના વાવેતર પર ટૂંક નોંધ લખો.
Ø નાળિયેર એ દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવા તથા ક્ષારવાળી જમીનમાં થતો બાગાયતી પાક છે.
Ø ભારતમાં કર્ણાટક, કેરલ, તમિલનાડુ, અંદમાન નિકોબારમાં નાળિયેરના બગીચા આવેલા છે.
Ø ગુજરાતમાં દરિયાકિનારાના વિસ્તારોમાં નાળિયેરનું વાવેતર કરવામાં આવે છે.
Ø ઓછી ઊંચાઇ ધરાવતી અને વધુ ઉત્પાદન આપતી નાળિયેરીની જાતો વિકસાવવામાં આવી છે.
Ø દક્ષિણ ભારતમાં નાળિયેરના કોપરાના તેલનો ખાદ્યતેલ તરીકે ઉપયોગ થાય છે.
Ø નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક પીણા તરીકે ઉપયોગી છે.
19. એરંડાના પાક વિશે માહિતી આપો.
Ø એરંડા એટલે કે દિવેલા.
Ø તે ખરીફ અને રવી પાક છે.
Ø એરંડાના વૈશ્વિક ઉત્પાદનમાં ભારત 64% હિસ્સા સાથે મોટો ઉત્પાદક દેશ છે. ત્યારબાદ અનુક્રમે ચીન અને બ્રાઝિલનો ક્રમ આવે છે.
Ø ભારતના કુલ ઉત્પાદનના લગભગ 80% એરંડાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે.
Ø આંધ્રપ્રદેશ અને રાજસ્થાન વગેરે પણ તેના ઉત્પાદક રાજ્યો છે.
Ø ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, જૂનાગઢ, રાજકોટ, અમરેલી વગેરે જિલ્લાઓમાં તેનો પાક વત્તે ઓછે અંશે લેવામાં આવે છે.
20. ચા ના ઉત્પાદન પર નોંધ લખો.
Ø ચા એ ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધીય છોડ છે.
Ø ચા ના છોડનાં પાદડાં અને કુમળી કૂંપળોને પ્રક્રિયા કરી તેની ચા ની ભૂકી કે પત્તીનો પીણાં તરીકે ઉપયોગ થાય છે.
Ø ચીન પછી ભારત ચાનું સૌથી વધુ ઉત્પાદન કરે છે.
Ø શ્રીલંકા, ચીન અને ભારત ચા ની નિકાસ કરતા મુખ્ય દેશો છે.
Ø ચા ના પાક માટે પાણી સહેલાઇથી વહી જાય તેવી ઢોળાવવાળી અને લોહતત્વવાળી જમીન 20
Ø ભારતમાં ચા અસમ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તરપ્રદેશ, તમિલનાડુ, કર્ણાટકમાં વધુ થાય છે.
Ø અસમ અને પશ્ચિમબંગાળ દેશની 75% ચાનું ઉત્પાદન કરે છે.
Ø ચાના છોડ પરથી પત્તીઓને કુશળતાપૂર્વક ચૂંટવામાં આવે છે.
21. કોફીના વાવેતર પર ટૂંકનોંધ લખો.
Ø કોફીના પાકને પહાડી ઢોળાવ પર સૂર્યનો સીધો તડકો ન પડે તે રીતે કોઇ મોટા વૃક્ષની છાયાંમાં ઉછેરવામાં આવે છે.
Ø કોફીના પાકને 150-200 સેમી વરસાદ અને 15
Ø ભારતમાં કર્ણાટક, કેરલ, તમિલનાડુમાં કોફી વધુ થાય છે.
Ø કર્ણાટકનો કૂર્ગ પ્રદેશ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે.
Ø કોફીના ફળને એકઠાં કરીને તેના બીજ કાઢી તેને પ્રક્રિયા કરી દળીને તેનો પીણાં તરીકે ઉપયોગ થાય છે.
22. કોકો વિશે નોંધ લખો.
Ø કોકો વૃક્ષના ફળના બીજમાંથી કોકો તૈયાર કરવામાં આવે છે.
Ø કોકો એ પેય પદાર્થ છે.
Ø તેમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે.
Ø તેને ગરમ અને ભેજવાળી આબોહવા અને વધુ વરસાદની જરૂર પડે છે.
Ø આફ્રિકન દેશો તેના મુખ્ય ઉત્પાદકો છે.
Ø કોકોનું ભારતમાં કેરલ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં વાવેતર અને ઉત્પાદન વધી રહ્યું છે.
23. કપાસ વાવેતર પર ટૂંકનોંધ લખો.
Ø કપાસ ખરીફ પાક છે.
Ø ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ અગત્યનું સ્થાન ધરાવે છે.
Ø વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ અને નિકાસમાં બીજા ક્રમે છે.
Ø કપાસના છોડ પરથી રૂ નું ઉત્પાદન મેળવવામાં આવે છે.
Ø આ રૂ ભારતમાં સફેદ સોના તરીકે ઓળખાય છે.
Ø કપાસિયાનું તેલ ખાદ્યતેલ તરીકે અને કપાસિયા અને ખોળ દુધાળાં પશુઓના દાણ તરીકે વપરાય છે.
Ø કપાસને લાંબો સમય
ભેજ સંગ્રહી શકે તેવી લાવાની કાળી અને ખનીજ દ્રવ્યોવાળી જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 20
Ø કપાસના પાકનો સમયગાળો 6-8 માસનો હોય છે.
Ø હિમથી કપાસના પાકને નુકશાન થાય છે.
Ø ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓડિશા વગેરે મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
Ø ગુજરાતના ખેડૂતોએ બી.ટી. કપાસના બિયારણને અપનાવી લેતાં વાવેતર વિસ્તાર, ઉત્પાદકતા, કુલ ઉત્પાદન તથા ગુણવત્તામાં ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે છે.
Ø ગુજરાતમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ વગેરે જિલ્લાઓમાં કપાસનું વધુ ઉત્પાદન થાય છે.
24. શેરડીના વાવેતર પર ટૂંકનોંધ લખો.
Ø શેરડી ભારતનો એક મુખ્ય પાક છે.
Ø વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે. ઉત્પાદનમાં બ્રાઝીલ પછી ભારતનો બીજો ક્રમ છે.
Ø શેરડીમાંથી ખાંડ, ગોળ, ખાંડસરી અને ઇથેનોલ બને છે.
Ø શેરડીના પાક માટે
મુખ્યત્વે લાવાયિક, નદીઓની કાળી કાંપની જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21
Ø ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઇથી આ પાક લેવાય છે.
Ø ભારતમાં ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે શેરડી પકવતાં મુખ્ય રાજ્યો છે.
Ø શેરડીના વાવેતરમાં ઉત્તરપ્રદેશ મોખરે છે. પરંતુ ખાંડ ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે છે.
Ø ગુજરાતમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે.
25. શણના વાવેતર પર ટૂંકનોંધ લખો.
Ø શણના ઉત્પાદનમાં ભારત હાલમાં પ્રથમ ક્રમે છે.
Ø શણના રેસાને ગોલ્ડન ફાઇબર કહે છે.
Ø શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્ત કલાકારીગરીના નમૂના વગેરે બને છે.
Ø શણ ઉદ્યોગમાં ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરિફાઈ છે.
Ø શણના પાકને
નદીઓના મુખત્રિકોણ પ્રદેશની જ્યાં દર વર્ષે નવો કાંપ પથરાતો હોય તેવી ફળદ્રુપ
જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા 30
Ø ભારતમાં પશ્ચિમ બંગાળમાં ગંગાના મુખત્રિકોણનો પ્રદેશ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં શણનું ઉત્પાદન વધુ થાય છે.
26. તમાકુના પાક વિશે માહિતી આપો.
Ø તમાકુ ખરીફ પાક છે.
Ø તમાકુના પાક માટે રેતાળ ગોરાડું જમીન 20 સે. જેટલું તાપમાન અને 100સેમી જેટલો વરસાદ વધુ માફક આવે છે.
Ø તમાકુના પાક માટે આબોહવા કરતાં જમીન વધુ નિર્ણાયક પરિબળ છે.
Ø ચીન, બ્રાઝિલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા મુખ્ય ચાર દેશો છે. ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને કર્ણાટક તમાકુ પકવતાં મુખ્ય રાજ્યો છે.
Ø ગુજરાતમાં ખેડા-આણંદ જિલ્લામાં ચરોતરના પ્રદેશ ઉપરાંત આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલમાં વધુ વાવેતર થાય છે.
Ø ભારતમાં કુલ તમાકુ ઉત્પાદનમાં 80% ઉત્પાદન એકલા ગુજરાતમાં થાય છે.
Ø તમાકુનો ઉપયોગ ગુટખા, બીડી, સીગારેટ, છીંકણી વગેરે બનાવવામાં થાય છે.
Ø તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે.
Ø તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર સિક્કિમ પ્રથમ રાજ્ય છે.
27. રબરની ખેતી સમજાવો.
Ø લેટેક્ષ કુળના રબરના વૃક્ષમાંથી ઝરતા દૂધમાંથી રબર તૈયાર થાય છે.
Ø રબરના બગીચામાંથી એકત્ર કરેલ દૂધમાં એસેટિક એસિડ મેળવીને ધીમા તાપે ગરમ કરીને રબર બનાવાય છે.
Ø રબરનો ઉપયોગ ટાયર, ટ્યુબ જેવી અનેક ઔદ્યોગિક પેદાશોમાં થાય છે.
Ø ગરમ અને ભેજવાળી આબોહવા, વધુ વરસાદવાળા વિસ્તારોમાં રબરની બાગાયતી ખેતી કરવામાં આવે છે.
Ø વિશ્વમાં રબર ઉત્પાદનમાં મલેશિયા પ્રથમ ક્રમે છે.
Ø ભારતનો રબરના મુખ્ય ઉત્પાદક દેશોમાં સમાવેશ થાય છે.
Ø ભારતમાં કેરલ, તમિલનાડુ, કર્ણાટક, અસમ, ત્રિપુરા રબરનું ઉત્પાદન કરતાં મુખ્ય રાજ્યો છે.
28. ભારતમાં ઔષધિય અને મસાલા પાકની ખેતી સમજાવો.
Ø જીરું, વરિયાળી, ઇસબગુલના ઉત્પાદનમાં વિશ્વમાં ગુજરાત પ્રથમ સ્થાને છે.
Ø આ ઉપરાંત ધાણા, મેથી, રાઇ, સુવા, અજમાના ઉત્પાદન અને નિકાસમાં ભારત મોખરે છે.
Ø વિશ્વના કુલ મસાલા ઉત્પાદનમાં ભારતનો હિસ્સો લગભગ 35% જેટલો છે.
Ø ભારતના કાળાં મરી, તજ, લવિંગ વગેરેની માંગ દેશ–વિદેશમાં ખૂબ જ રહે છે.
Ø ગુજરાતમાં અશ્વગંધા, તુલસી, કરિયાતુ, મીઠીં આવળ, સદેદ મુસળી, મધુનીધીની, અશોક, ગરમર, લીંડીપીપર, ગળો, કુંવારપાઠું વગેરે ઔષધીય પાકો તેમ જ સુંગધિત પાકોમાં ફૂદીનો, મેંથોલ, પામરોઝા, લેમનગ્રાસનો સમાવેશ કરી શકાય છે.
29. ફળો, શાકભાજી અને ફુલોની ખેતીની ટૂંકનોંધ લખો.
Ø વિશ્વમાં ફળોના ઉત્પાદનમાં ભારત, ચીન પછી બીજા ક્રમે છે.
Ø ભારતમાં કેળાં, કેરી, સફરજન, દ્રાક્ષ, નારંગી વગેરેની ખેતી થાય છે.
Ø કેળાં તમિલનાડુ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં તો સફરજન જમ્મુ–કશ્મીર હિમાલય પ્રદેશમાં તથા દ્રાક્ષ ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, જમ્મુ કશ્મીર, પંજાબ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં થાય છે.
Ø ભારતમાં દ્રાક્ષનું ઉત્પાદન માંગ કરતાં ઓછું હોવાથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયાથી આયાત કરીએ છીએ. આ ઉપરાંત અહીં વિવિધ શાકભાજીની ખેતી પણ થાય છે.
Ø ફુલોમાં ગુલાબ, જુઈ, મોગરો, ગલગોટા, વગેરેની ખેતી થાય છે.
Ø આમ, ભારતમાં વિવિધ પ્રકારના પાક થાય છે.
Ø ભારતમાં શાકભાજીના પાકમાં વિવિધતા જોવા મળે છે.
30. કૃષિ ક્ષેત્રે ટેક્નિકલ સુધારા જણાવો.
Ø ભારતમાં ખેતી ક્ષેત્રે બિયારણ, ખાતર અને ખેત સાધાનોમાં આવેલા પરિવર્તન ટેક્નિકલ સુધારા તરીકે થાય છે.
Ø સિંચાઇ માટે ખેડૂત પહેલા કોંસ, રહેંટનો ઉપયોગ કરતો, આજે સબમર્સિબલ કે મોનો બ્લોક પંપ, સોલર પંપ, ટપક સિંચાઇ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરતો થયો છે.
Ø ખેતીમાં રાસાયણિક ખાતરોમાં D.A.P., N.P.K., યુરિયા તેમજ જૈવિક ખાતરોમાં પ્રવાહી જૈવિક ખાતર અને સારા ઉત્પાદન માટે બાયો ટૅક બિયારણો વગેરેનો ઉપયોગ થાય છે.
Ø ખેડૂત પાક સંરક્ષણ માટે જંતુનાશક દવાઓ અને જૈવિક નિયંત્રકનો ઉપયોગ કરતો થયો છે.
Ø સરકાર દ્વારા ખેડૂતોને રેડિયો, ટીવી , વર્તમાનપત્રો, ડી.ડી. કિસાન ચેનલ, મોબાઇલ પર કિસાન SMS, ટોલ ફ્રી નંબર 1800 180 1551, સરકારના ખેડૂત વેબપોર્ટલ i–ખેડૂત તથા Agri market જેવી મોબાઇલ એપ દ્વારા સતત માહિતી, નવી તકનીકો અને માર્ગદર્શન પૂરું પડાય છે.
Ø ગ્રામ વિસ્તારોમાં કૃષિ સંશોધનો અને નવી તકનીકીનો પ્રચાર–પ્રસાર ગ્રામસેવકો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડાય છે.
Ø સરકારે દરેક જિલ્લા મથકે ખેડૂત તાલીમકેન્દ્રની સ્થાપના કરી છે. જેમાં ખડૂતોને પ્રશિક્ષિત કરાય છે.
Ø ગુજરાતમાં કૃષિમેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે.
Ø દરેક રાજ્યમાં કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. તેઓ ખેતી ક્ષેત્રે નવા સંશોધનો કરે છે. અને કૃષિવીદો તૈયાર કરે છે.
Ø આ ઉપરાંત કૃષિક્ષેત્રે સંશોધન કરતી ICAR અને DARE વગેરે સંસ્થાઓ રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત છે.
31. કૃષિક્ષેત્રે સંસ્થાકીય સુધારા જણાવો.
Ø ભારતમાં જમીન માલિકી, ખેત બિયારણ અને ખેતપેદાશના વેચાણ અંગે થયેલ સુધારા સંસ્થાગત સુધારા ગણાય છે.
Ø સરકારે જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીનના કાયદા દ્વારા ખેડૂતોને જમીન માલિકીનો સાચો હક્ક આપ્યો છે.
Ø જમીન ટોચ મર્યાદાના કાયદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરેલ છે.
Ø કિસાન ક્રેડિટ કાર્ડ અને રાષ્ટ્રીયકૃત તેમજ સહકારી બેંકો દ્વારા ખેડૂતોને આર્થિક મદદ માટે કૃષિ ધિરાણ આપવામાં આવે છે.
Ø સરકાર બિયારણ અને ખાતરો તથા જતુંનાશક દવાઓ ખરીદવા માટે ખેડૂતોને સબસીડી અને આર્થિક મદદ કરે છે.
Ø પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા ખેડૂતોને ખેતી પાકોનું વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે.
Ø દુષ્કાળ કે વધુ વરસાદને કારણે પાક નિષ્ફળ જાય ત્યારે સરકાર દ્વારા ખેડૂતને આર્થિક સહાય કરવમાં આવે છે.
Ø માર્કેટ યાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઇ કરી ખુલ્લી હરાજીની પ્રક્રિયા વ્યાપક બનાવી છે.
Ø ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ, ખરીદ વેચાણ સંઘ, સહકારી ધોરણે ગોદામો, શીતગૃહો, પરિવહન અને સંદેશાવ્યવહારની સુવિધા પુરી પાડી છે.
Ø ખેડૂતો પાસેથી ખેતપેદાશોની સરકારે નક્કી કરેલ પોષણક્ષમ ટેકાના ભાવે ખરીદી કરવા માટે નીચેની સંસ્થાઓ કાર્યરત છે.
Ø ભારતીય રાષ્ટ્રીય કૃષિ સહકારી વિપણન સંઘ
Ø ગુજરાત તેલીબિયાં ઉત્પાદક સંઘ
Ø રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ
32. કૃષિ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સમજાવો.
Ø આપણા દેશમાં 1960ના દશકામાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ સર્જાઈ તે પહેલાં એવો સમયગાળો હતો કે જ્યારે દેશમાં અનાજની અછત પ્રવર્તતી હતી. એક મુખ્ય કૃષિ પ્રધાન દેશને અનાજની આયાત કરવી પડતી હતી. આવી પરાવલંબી પરિસ્થિતિ સામે દેશ ઝઝૂમતો હતો.
Ø બિયારણની સુધારેલી જાતો, રાસાયણિક ખાતરોનો વઘેલો ઉપયોગ, દેશના ખેડૂતોના પ્રચંડ પુરુષાર્થ, વીજ વિતરણની વ્યાપક વ્યવસ્થા, સિંચાઇની સવલતોમાં થયેલ સુધારા વગેરે પરિબળોથી કૃષિક્ષેત્રે ઉત્પાદનમાં થયેલ અસાધારણ વધારાને હરિયાળી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.
Ø કૃષિ ઊપજમાં વધારો કરવો એ હરિયાળી ક્રાંતિનો મુખ્ય ઉદ્દેશ હતો.
Ø ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશકોનો ઉપયોગ કરવા માટે પ્રરિત કરવામાં આવ્યા અને કૃષિ ઊપજમાં વધારો કરવાના લક્ષ્યને હાંસલ કરવામાં સફળતા પણ મળી.
Ø હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે.
Ø દેશમાં પહેલાં જ્યાં ખાદ્ય અન્નની અછત હતી ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે.
Ø એક સમયે ભારતમાં દુષ્કાળ સમયાંતરે અનુભવાતો પ્રકોપ હતો. હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળી નથી. અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતથી પરિસ્થિતિનો સરળતાથી સામનો કરી શકાયો છે.
Ø અન્ન ક્ષેત્રે દેશનું સ્વાલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્નરૂપ ઐતિહાસિક સિદ્ધિ છે.
Ø આજે રોકડિયા પાકોનું વાવેતર વધતાં કઠોળ અને ધાન્ય પાકોનું વાવેતર તથા જમીનની ફળદ્રુપતા પણ ઘટી છે. વિશ્વના દેશોએ કૃષિ ક્ષેત્રે ઉન્નત ટેક્નોલોજીનો ઉપયોગ કરીને જે પ્રગતિ સાધી છે, ત્યાં સુધી પહોંચવામાં આપણે બીજી હરિયાળી ક્રાંતિ માટે સજ્જ થવું જોઇએ.
33. ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન સમજાવો.
Ø ખેતી ભારતમાં મુખ્ય વ્યવસાય છે. આઝાદી સમયે કૃષિક્ષેત્રે જે ભારણ હતું તે હવે થોડુંક ઓછું થયું છે, તેમ છતાં હજુ પણ અર્થતંત્રમાં તેનું મહત્વનું યોગદાન છે.
Ø તે દેશના લગભગ અડધો અડધ લોકોને રોજગારી પૂરી પાડે છે.
Ø કૃષિક્ષેત્ર દેશના કુલ ઘરેલું પેદાશોનો લગભગ 17% હિસ્સો ધરાવે છે.
Ø ભારતની મહત્વની કૃષિ પેદાશો ઘઉં, ચોખા, તેલીબિયાં, કપાસ, શણ, ચા, શેરડી, તમાકુ, બટાકા વગેરે છે. અને તેની નિકાસમાંથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે.
Ø ખેત પેદાશના ઉત્પાદનમાં વિશ્વભરમાં ભારત બીજા સ્થાને છે.
Ø સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ, તેલ વગેરે ઉદ્યોગો તથા ખાદ્યસામગ્રીને લગતા પ્રસંસ્કરણ ઉદ્યોગ માટે કાચોમાલ પણ ખેતીમાંથી જ ઉપલબ્ધ બને છે.
Ø કૃષિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે.
Ø જો કે અનિયમિત અને અનિશ્ચિત વરસાદ અને સિંચાઇની અલ્પ સગવડને કારણે ખેતી ક્ષેત્રે વૈશ્વિક બજારમાં ભારતનો દેખાવ સાતત્યપૂર્ણ રહ્યો નથી.
34. અનાજ સંરક્ષણ પર ટૂંકનોંધ લખો.
Ø આજે કોઇપણ દેશ માટે અન્ન સુરક્ષા જરૂરી છે.
Ø જો અનાજની માંગ વધતી જતી હોય અને અનાજની મોટા પાયે આયાત કરવી પડતી હોય તો તે દેશ માટે તેની રાજકીય સ્વતંત્રતા જોખમમાં મૂકાઇ શકે છે.
Ø હરિયાળી ક્રાંતિને લીધે આપણે અનાજ ઉત્પાદનમાં સ્વાવલંબી બન્યા છીએ.
Ø અનાજ ઉત્પાદનના વધારા સાથે સાથે દેશની વસ્તીમાં પણ વધારો થયો છે. 1951માં દેશની વસ્તી આશરે 36 કરોડ 10 લાખની હતી. એ આજે 135 કરોડથી વધુ છે. તેથી અનાજની માંગ પણ વધી છે. તેમ છતાં આપણા દેશમાં છેલ્લા 5 વર્ષોમાં અનાજના ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે.
Ø 1950-51 માં ભારતમાં 51 કરોડ ટન અનાજ ઉત્પાદન થયું હતું, જે વધીને 2013–14માં વિક્રમજનક 265.04 કરોડ ટન થયું છે. આજે આપણી પાસે એટલું અનાજ છે કે દેશની ન્યુનતમ જરૂરિયાત પૂર્ણ કરી શકાય.
Ø આ ભંડાર ટકાવી રાખવો અને તેમાં વધારો કરવો આવશ્યક છે. અનાજનો બફર સ્ટોક ઊભો કરીને દુષ્કાળ કે ઓછા અનાજ ઉત્પાદન સમયે અનાજની તંગી અટકાવી શકાય.
Ø અનાજના ગોદામોમાં અનાજને સાચવવાની વૈજ્ઞાનિક પદ્ધતિઓ અપનાવીને અનાજનો બગાડ થતો અટકાવી શકાય. આ અનાજ હજારો ગરીબ પરિવારોને વિનામુલ્યે આપીને ભૂખ મિટાવી શકાય.
Ø અનાજનો બગાડ અટકાવવો એ તાતી જરૂરિયાત છે.
Ø અનાજના સંરક્ષણ અને પ્રબંધનની વ્યવસ્થા સુદ્રઢ કરવી અત્યંત આવશ્યક છે.
Ø સરકારે ખાદ્ય સુરક્ષા કાયદા દ્વારા ગરીબો સુધી અનાજ વિતરણ કરવાની જોગવાઇ કરીને એક સારી શરૂઆત કરી છે.
35. ભારતની ખેતી પર વૈશ્વિકીકરણની અસર સમજાવો.
Ø ભારતનો ખેડૂત તેની ખેત પેદાશને વૈશ્વિક બજારમાં વેચીને નફો મેળવી શકે એવા ઉદ્દેશથી ખેતી ક્ષેત્રે વૈશ્વિકીકરણની નીતિ અમલમાં મુકાઇ છે.
Ø વૈશ્વિકીકરણને લીધે ખેતીક્ષેત્રે કેટલાક પરિવર્તનો આવ્યાં છે.
Ø ખેત પાકોને નિકાસ કે આયાત કરવા માટેની પ્રક્રિયાને સરળ કરાઇ છે.
Ø ગુજરાતમાંથી કપાસ, મરચાં, તલ ચીનના બજારમાં અને વિશ્વમાં વિવિધ ફળો ભારતના બજારમાં મળતાં થયાં છે.
Ø વૈશ્વિકીકરણથી ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીઓ દ્વારા વેચવામાં આવતા મોંઘા ભાવના જીનેટીકલી મોડિફાઇડ બી.ટી. બિયારણો આવ્યાં. એના લીધે ખેત ખર્ચાળ બની છે. જો કે કપાસ અને મકાઇના ઉત્પાદનમાં વધારો થયો છે.
Ø આયાત સરળ થતાં ઘર આંગણે આપણા કૃષિ ઉત્પાદનોને સ્પર્ધાનો સામનો કરવો પડે છે.
Ø કેટલાંક ઉત્પાદનોને વૈશ્વિક બજાર પ્રાપ્ત થતાં તેમના પેટન્ટ રજિસ્ટ્રેશનની જરૂર ઊભી થઈ છે.
Ø આપણી ગુણવત્તા સભર કૃષિ પેદાશોની પેટન્ટ દેશના નામે નોંધવવી જરૂરી છે.
Ø ભારતે કૃષિક્ષેત્રે વૈશ્વિક બજારોમાં થતી સ્પર્ધાનો સામનો કરવા નવી ટેક્નોલોજી અપનાવી ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે.
Ø કૃષિક્ષેત્રે જોડાયેલા લોકોની આર્થિક ઉન્નતિ અને સદ્ધરતા વધારવા આયોજનબદ્ધ પગલાં ભરવાં પડશે.
Ø વધતી જતી વસ્તી અને ભવિષ્યમાં વધનાર કૃષિ પેદાશોની માંગ સાથે આર્થિક પ્રગતિની વિકાસ કૂચ જાળવી રાખવા બીજી હરિયાળી ક્રાંતિ માટે નક્કર વ્યુહ રચના ગોઠવવી જરૂરી છે.
1 Comments
ખૂબ જ સરસ માહિતી છે
ReplyDeleteખેતી અને પશુપાલનની ઉપયોગી માહિતી મેળવવા kheduthelp.in ની મુલાકાત પણ લઈ શકો છો