1. આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર સમજાવો.
ઉત્તર :
વેપાર એટલે એવી વ્યાવસાયિક પ્રવૃતિ/ધંધાકીય પ્રવૃતિ કે જેમાં વસ્તુઓ, સેવાઓ, મૂડી, ટેક્નોલોજી, ટેકિનકલ જાણકારી અને માહિતી, બૌદ્ધિક સંપદા વગેરેનો વિનિમય થાય છે. બીજા શબ્દોમાં વેપારમાં આવી વસ્તુઓ–સેવાઓની હેરફેર આવક કે નફા–પ્રાપ્તિ માટે કરવામાં આવે છે.
કોઇ એક દેશની હદની અંદર થતી વેપાર–પ્રવૃત્તિને આંતરિક વેપાર તથા દેશની હદની બહાર થતી વેપાર પ્રવૃતિને વિદેશવેપાર કે આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય છે.

2. વિદેશ વેપાર માટેનાં કારણો સમજાવો.
ઉત્તર :
અર્થશાસ્ત્રમાં વિદેશ વેપાર માટેનાં મુખ્ય કારણો આ મુજબનાં છે :
(1) દેશોમાં ઉપલબ્ધ ઉત્પાદનમાં સાધનોમાં તફાવત :
અલગ–અલગ દેશોમાં ઉત્પાદનનાં સાધનો જુદાં–જુદાં પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. વળી, બધી જાતનાં ઉત્પાદન માટે જરૂરી બધા પ્રકારનાં સંસાધનનો પણ દરેક દેશ પાસે હોતાં નથી. માટે દુનિયાના દેશો સંસાધનનો, કેટલાંક સાધનો, ટેક્નોલોજી વગેરેનો વેપાર કરી પોતાની જરૂરિયાતો પૂરી કરે છે.
(2) ઉત્પાદન–ખર્ચ :
સાધનો અને સંસાધનોની ઉપલબ્ધી જુદી હોવાના કારણે વસ્તુ અને સેવાઓ ઉત્પાદન–ખર્ચ પણ જુદા–જુદા દેશોમાં જુદો હોય છે. કેટલાંક સાધનોની અછત અને ઊંચી કિંમતોના કારણે કેટલીક વસ્તુઓ/સેવાઓની અન્ય દેશો (કે જ્યાં આવી વસ્તુઓ અત્યંત સસ્તી બને છે.) પાસેથી આયાત કરવી સરળ અને સસ્તી બને છે.
(3) ટેક્નોલોજીકલ પ્રગતિ :
બધા દેશોમાં સરખા પ્રમાણમાં ટેક્નોલોજીકલ પ્રગતિ થઇ હોતી નથી. અમુક દેશો અમુક પ્રકારની ટેક્નોલોજીમાં માહેર હોય છે, તો કેટલાક દેશો બીજા પ્રકારની ટેક્નોલોજીમાં આવડત ધરાવે છે. આથી દરેક દેશ દરેક વસ્તુના ઉત્પાદનમાં એકસરખી કાર્યક્ષમતા ધરાવતો નથી અને આથી દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓનો વેપાર થાય છે.
(4) શ્રમવિભાજન અને વિશિષ્ટીકરણ :
દરેક દેશમાં શ્રમની ઉત્પાદકતા અને કૌશલ્ય અલગ હોય છે. વળી, નિયોજનશક્તિની કાર્યક્ષમતા પણ અલગ હોય છે. તેથી દેશો વચ્ચે શ્રમવિભાજન અને વિશિષ્ટિકરણ જોવા મળે છે. એટલે કે અમુક શ્રમ અમુક પ્રકારની વસ્તુઓ/સેવાઓના ઉત્પાદનમાં વધુ આવડત ધરાવતો હોવાથી તે દેશ તેવી વસ્તુઓનું વધુ ઉત્પાદન કરે છે. અને તેમાં વિશિષ્ટીકરણ કરે છે. આવી વસ્તુઓ/સેવાઓને વધુ કાર્યક્ષમ રીતે ઉત્પન્ન ના કરી શકે તે વસ્તુઓ/સેવાઓની આયાત કરે છે.
વળી, જ્યારે કોઇ દેશ પોતાની વિશિષ્ટતાની બહારની વસ્તુઓ/સેવાઓ ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરે છે. ત્યારે તેમ કરવા માટે તે કૌશલ્ય ધરાવતા નિષ્ણાતો, તેમના જ્ઞાન વગેરેની આયાત પણ કરે છે.

3. વિદેશ વેપારનું સ્વરૂપ સમજાવો.
ઉત્તર :
વિદેશવેપારનું સ્વરૂપ એટલે વેપાર–પ્રવૃતિની જેવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને અન્ય પ્રવૃતિઓથી જુદી પાડે તથા તેને અલગ ઓળખ આપે.
વિદેશ વેપારનું સ્વરૂપ તેને અસર કરતાં સંજોગો, તેને નિયમન કરતી નીતિઓ અને કાયદાઓના આધારે નક્કી થાય છે. જેમકે,
(1) વિદેશ વેપારમાં સાધનોની ભૌગોલિક તથા વ્યાવસાતિક ગતિશીલતા ઓછી હોય છે :
વિદેશ વેપારમાં નીતિવિષયક અને સામાજિક કારણોના લીધે શ્રમ ઓછો ગતિશીલ હોય છે.
કેટલીક મૂડી સ્થાયી અને જંગી હોવાના કારણે ઓછી ગતિશીલ હોય છે, તો કેટલીક મૂડીનૂ ગતિશીલતા પર કાયદાકીય પ્રતિબંધ હોય છે.
નિયોજકો શ્રમની જેમ ઓછા ગતિશીલ હોય છે. પંરતુ નિયોજનશક્તિ આજના સમયમાં વધુ ગતિશીલ બની છે. જમીનની ભૌગોલિક ગતિશીલતા શૂન્ય હોય છે.
આમ, સાધનોની ગતિશીલતા ઓછી હોવાના કારણે વિદેશ વેપારનું કદ તેટલાં પ્રમાણમાં મર્યાદિત રહે છે.
(2) વિવિધતા ધરાવતી ચીજવસ્તુઓનો વેપાર :
વિદેશ વેપારમાં અનેક પ્રકારની વિવિધતાવાળી વસ્તુઓ અને સેવાઓ ઉપલબ્ધ કરાવાય છે, જેથી વિવિધ જીવનધોરણ તથા જીવનશૈલી ધરાવતા લોકોની વિવિધ પ્રકારની માંગ સંતોષી શકાય.
વિદેશી વેપારની સફળતા અને સમૃદ્ધિનો આધાર જ વિવિધતા છે. દા.ત., જે દેશોમાં વીજળીની અછત હોય ત્યાં માનવસંચાલિત મશીનોની માંગ વધુ હશે જ્યારે વધુ વીજળી ઉત્પન્ન કરતાં દેશોમાં સ્વયંસંચાલિત મશીનોની માંગ વધુ પ્રમાણમાં હશે.
(3) પડકારજનક સ્વરૂપ :
વિદેશવેપારનું સ્વરૂપ વધુ પડકારજનક છે કારણ કે વિવિધ દેશોમાં વિવિધ પ્રકારની આબોહવા, ભાષા, સંસ્કૃતિ, રિવાજો, રૂચિ, ટેવો, પસંદગીઓ વગેરે હોય છે. આવા બધા અવરોધો પાર કરીને વેપાર કરવાનો પડકાર વેપારીઓ સામે હોય છે.
(4) રાજનયિક પ્રયત્નો :
વિદેશવેપાર સ્થાપના અને વિકસાવવા ફકત વેપારીના પ્રયત્નો કાફી નથી હોતા. તેમાં દરેક દેશની સરકારોએ રાજનયિક પ્રયત્નો કરવા પડે છે. તથા સાથે–સાથે બિનઔપચારિક મિટિંગ તથા વેપારમેળા યોજવા પડે છે. જેમાં વેપારીઓ તથા રાજ્યના સભ્યો વિદેશના સભ્યો સાથે મળે છે. દા.ત., ગુજરાત રાજ્યમાં વેપાર વધારવા Vibrant Gujarat Summit યોજાય છે. જ્યાં વિશ્વના અનેક દેશો અને વેપાર–ઉદ્યોગોના પ્રતિનિધિઓ એકસાથે મળે છે. અને જાણકારીની આપ–લે કરવા સાથે ગુજરાત રાજ્યની નીતિઓ, સંસ્કૃતિ વગેરે વિશે માહિતી મેળવે છે.
દરેક દેશની રાજકીય અને કાયદાકીય સંસ્થાઓ તથા આર્થિક નીતિઓ અલગ હોવાના કારણે વેપારીઓનાં ઉત્પાદન અને વેચાણ તથા પ્રચારના પ્રયત્નોની સાથે–સાથે રાજનિયક પ્રયત્નો જરૂરી બને છે.
(5) વિવિધ ચલણોના ભાવ અને તેમના મૂલ્ય અંગેની અટકળો :
વિદેશવેપારમાં સર્વસ્વીકૃત માન્ય ચલણમાં ચૂકવણી કરવાની હોય છે. માટે વેપાર કરતાં દરેક દેશે પોતાના દેશના ચલણને આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. આ માટે વિવિધ હૂંડિયામણોના દર અને તેમાં થતી વધ–ઘટની જાણકારી હોવી જરૂરી બને છે. જો મોંઘા ભાવે હૂંડિયામણ ખરીદવામાં આવે, તો વેપારમાં નુકશાન થઇ શકે માટે આ અંગે વેપારીઓએ કેટલીક વાર નિષ્ણાંતોની સલાહ લેવી પડે છે.
(6) વિવિધ રાષ્ટ્રો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સંયુક્ત પ્રયાસો :
વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય વેપાર વિકસાવવા માટે અનેક દેશોએ એટલે કે આમ તો દરેક દેશની સરકારો તથા વિશ્વ વેપાર સંગઠન (WTO : World Trade Organisation) જેવી સંસ્થાઓએ સાથે પ્રયત્નો કરવા પડે છે. વેપારનું કદ વધારવા માટે દરેક દેશે મક્કમ ઇરાદાથી પ્રયાસો કરવા જરૂરી છે. જે પૈકી તેમણે તેમની નીતિઓ વેપારને વધુ અનુરૂપ બનાવવી પડે, દેશમાં સામાજિક અને સંસ્કૃતિક જુથોએ વેપારને ખુલ્લાં મને સ્વીકારવો જોઇએ અને દરેક દેશના વિવિધ ઉદ્યોગોનાં સંગઠનોએ વેપાર વધારવા માટે સહકાર આપવો જોઇએ.
(7) રાજકીય અને સામાજિક વિચારધારાઓની અસર :
વિદેશ વેપારના કદ અને દિશા પર રાજકીય તથા સામાજિક બાબતોની અસર વધુ પ્રમાણમાં રહેલી હોય છે. દા.ત., વિશ્વ યુદ્ધ જેવી ઘટનાઓ પછી અનેક દેશો વચ્ચે વેપારના સંબંધો બગડે છે, તો ક્યારેક વિશ્વના નેતાઓ સાથે મળીને વેપાર વધારવાના પ્રયત્નો કરે છે. જેથી દેશોનું ધ્યાન યુદ્ધ પરથી હટીને વેપાર તરફ દોરાય / ખેંચાય.
વળી, કોઇ એક દેશમાં વેપારનું કદ અને દિશા જે–તે દેશના વિચારો, સામાજિક માળખું, ઐતિહાસિક ઘટનાઓ તથા અન્ય દેશો સાથેના સંબંધો પર આધાર રાખે છે.
(8) અત્યંત મોટા પાયાનો વેપાર :
વિદેશ વેપારનું કદ અત્યંત વિશાળ હોય છે. તેમાં અનેક દેશો, અસંખ્ય વસ્તુઓ, અનેક કાયદાઓ, અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ વગેરે સંકળાયેલાં હોય છે.
(9) વધુ પ્રમાણમાં કરવેરા અને પરવાનગીઓ :
આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે દરેક દેશે પોતાના દેશ તેમજ બીજા દેશની (જેની સાથે વેપાર કરવાનો હેતુ છે.) અનેક ચકાસણીઓ અને પરવાનગીઓ પાર કરવાની હોય છે. જેમકે, વેપારજન્ય વસ્તુ/સેવા માટેની પરવાનગી અને ચકાસણી, ગુણવત્તાની ચકાસણીનું સર્ટિફિકેટ, આંતરરાષ્ટ્રીય જકાતની ચૂકવણી, ટ્રાન્સપોર્ટ અંગેની વ્યવસ્થા દર્શાવતા પુરાવાઓ અને તેવાં અનેક ધોરણો. વળી, દરેક દેશના ગુણવત્તાનાં ધોરણો જુદાં હોવાનાં કારણે વેપાર કરનારાઓએ ઉત્પાદન પદ્ધતિઓ વિશેની જાણકારી પણ રાખવી પડે છે. દરેક દેશમાં ખાદ્ય વસ્તુઓની અને દવાની ગુણવત્તાનાં ધોરણો જુદાં હોય છે. માટે વેપારીએ ઉત્પાદક પાસે તે રીતનું ઉત્પાદન કરાવવું પડે છે.
(10) હરીફાઇ અને જોખમની ઊંચી માત્રા :
કોઇ એક વસ્તુ કે સેવા અનેક દેશો ઉત્પન્ન કરીને વિશ્વબજારમાં વેચવાના અનેક પ્રયાસો કરતા હોય છે. માટે વેચનારાઓ વચ્ચે હરીફાઇનું પ્રમાણ ઊચું હોય છે. વળી, કોઇ વસ્તુ કે સેવાની માંગ પણ અનેક દેશના ગ્રાહકો કરતા હોય છે. અને આથી ગ્રાહકો વચ્ચે પણ હરીફાઇનું પ્રમાણ ઊચું હોય છે.
વિશ્વબજારમાં પોતાની વસ્તુની માંગ અને બજાર ઊભું કરવાનું જોખમ ખૂબ ઊચું હોય છે. ઊંચા પ્રમાણની ગુણવત્તા જાળવવી પડે છે, પ્રચાર–ખર્ચ વધુ રાખવો પડે છે, વેચાણ–ખર્ચ ઊંચો હોય છે. અને અન્ય દેશોના ગ્રાહકોને સંતોષવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કર્યા બાદ જો પોતાની વસ્તુને પૂરતા પ્રમાણમાં બજાર ન મળે, તો મોટું નુકશાન ભોગવવું પડે છે.

4. આંતરિક અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત સમજાવો.
ઉત્તર :
વિદેશ વેપારનું સ્વરૂપ અને પડકારો આંતરિક વેપાર કરતાં જુદા હોય છે. અને તેમાં અંતરાયો વધુ હોય છે. તથા આથી તેમની વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. આ તફાવતના કેટલાક મુદ્દા નીચે જણાવ્યા મુજબ છે :
(1) કદના આધારે તફાવત :
વિદેશ વેપારમાં અનેક દેશો, વસ્તુઓ અને સેવાઓ, કાયદાઓ, પદ્ધતિઓ વગેરે સંકળાયેલા હોવાથી વિદેશ વેપારનું કદ આંતરિક વેપાર કરતાં અનેક ગણું મોટું હોય છે.
(2) વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ :
આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં જ થાય છે. વળી, પોતાના જ દેશની એક બેન્કમાંથી બીજી બેન્કમાં ચૂકવણી કરવાની હોય છે. પરંતુ વિદેશવેપારમાં પોતના દેશના ચલણનું કોઇ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતર કરવું પડે છે. હૂંડિયામણના દેશની જાણકારી રાખવી પડે છે, જે–તે દેશના કાયદાઓ મુજબ પરવાનગીઓ લેવી પડે છે. વળી, આયાતકારો અને નિકાસકારોએ પોતાના દેશની બેન્ક પાસે ચૂકવણી કરવા અંગે શાખનું પ્રમાણપત્ર પણ મેળવવું પડે છે.
(3) ભાષા, સંસ્કૃતિ અને સમાજ અંગેના તફાવતો :
આંતરિક વેપારમાં વિનિમય એકસમાન ભાષા, સંસ્કૃતિ અને સામાજિક વ્યવસ્થામાં થાય છે. પરંતુ વિદેશવેપારમાં દરેક દેશમાં ભાષા, સંસ્કૃતિ, સમાજ વગેરે જુદા હોવાના કારણે કોઇ પણ પ્રજાની લાગણીઓ ન દુભાય તે રીતે વેપાર કરવો પડે છે.
દરેક દેશની જીવનશૈલીને અનુરૂપ વસ્તુઓ વેચવી પડે છે.
(4) વાહન વ્યવહાર ખર્ચનો તફાવત :
વિદેશ વેપારમાં આંતરિક વેપારની સરખામણીમાં વાહન–વ્યવહારનો ખર્ચ ઊંચો હોય છે. ઉપરાંત દરેક દેશની હદ પર અનેક જાતના વેરા ભરવાના હોય છે. જે આંતરિક વેપારની સરખામણીમાં વધુ હોય છે.
(5) હરીફાઇના પ્રમાણમાં તફાવત :
આંતરિક વેપારમાં કોઇ વસ્તુના અનેક ઉત્પાદકો હોય તોપણ ઉત્પાદનનાં સાધનો, ટેક્નોલોજી વગેરે સમાન હોવાના કારણે તેઓ વસ્તુઓનું વર્ગીકરણ અને વિભિન્નતાના ધોરણે વધુ પડતી હરીફાઇ કરી શકતા નથી. પરંતુ વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વર્ગીકરણ અને વિભિન્નતાના આધારે હરીફાઇ કરે છે. વળી, કોઇ દેશમાં એક પ્રકારની વસ્તુ વેચવા માટે જે–તે દેશનના ઉત્પાદકો તથા અન્ય દેશના ઉત્પાદકો બજાર હિસ્સો મેળવવા હરીફાઇ કરે છે.
દા.ત., જ્યારે ભારતમાં વિદેશી ગાડીઓ (કાર) ન હતી ત્યારે દેશના ઉત્પાદકો વચ્ચે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ આજના સમય જેવું ન હતું. જ્યાં રોજ નવા મોડેલ, નવાં આકર્ષણો, નવી વિજ્ઞાપન વગેરે જોવા મળે છે. આજે વિદેશી કાર બનાવવાવાળી કંપનીઓ ભારતના બજારમાં પોતાનો હિસ્સો વધારવા માટે પ્રયાસો કરે છે.
(6) ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત :
એક જ દેશમાં સમાજ, શિક્ષણ, સજાગતા, માહિતી, પસંદગીઓ, મૂલ્યો, સહનશીલતા વગેરેનાં ધોરણો સમાન હોવાના કારણે કોઇ વેચાનારને ગ્રાહકના સંતોષનો અંદાજ સહેલાઇથી મળે છે. અને તે પ્રમાણેની વસ્તુઓનું ઉત્પાદન, વેચાણ અને વિજ્ઞાપન તે કરે છે.
પરંતુ વિદેશ વેપારમાં દરેક દેશમાં આવી બાબતોમાં મોટો તફાવત હોય છે. માટે વેચનારે દરેક દેશના ગ્રાહકોને સંતોષવા માટે વધુ મહેનત કરવી પડે છે.
બીજા શબ્દોમાં, આંતરિક વેપારમાં ગ્રાહકના વર્તનની આગાહી કરી શકાય છે. જ્યારે વિદેશ વેપારમાં સહેલાઈથી આ પ્રકારની આગાહી થઇ શકતી નથી.
(7) વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત :
પોતના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા વેપારીઓ જાણતા હોવાથી તેમને વેપાર કરવામાં આવી બાબતોની મુશ્કેલી ઓછી પડે છે. પરંતુ વિદેશવેપારમાં દરેક દેશની વેરા, કાયદાકીય, પરવાના અંગેની પદ્ધતિઓ પૂરી જાણ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે. અન્ય દેશોની નીતિઓ વિશેની માહિતી મેળવવાની પ્રક્રિયા અઘરી અને ખર્ચાળ બાબત છે.

5. વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ સમજાવો.
ઉત્તર :
એગ્નસ મેડિસન નામાના ઇતિહાસકારની શોધ દર્શવતાં ‘વલ્ડ ટ્રેડ રિપોર્ટ’ 2013માં દર્શાવ્યું છે કે, 1800મી સદીના મધ્યગાળાથી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે. વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે. જ્યારે વિશ્વ વેપાર 140 ગણો વધ્યો છે.
આ રિપોર્ટ મુજબ, વિશ્વમાં વાહનવ્યવહાર અને સંદેશાવ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી વેપારને વેગ મળ્યો છે. તદુપરાંત પ્રદેશો વચ્ચે રાજનયિક સંબંધોનો વિકાસ થતા વેપાર વધવા પામ્યો છે.
છેલ્લાં 30 વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7 ટકાનો વધારો નોંધાયો છે.
1980 અને 2011ની વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34 ટકાથી વધીને 47 ટકા અને આયાતોમાં તેમનો ફાળો 29 ટકાથી વધીને 42 ટકા થયો. એશિયાના દેશો આજે વિશ્વવેપારમાં નોંધપાત્ર ભાગ ભજવે છે.
છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિદર કરતાં વિશ્વવેપારનો વૃદ્ધિનો દર બમણા પ્રમાણમાં વધ્યો છે. આ દર્શાવે છે કે વિશ્વમાં વેચાણ–વ્યવસ્થાઓનો વિકાસ થયો છે.
વિવિધ સમયગાળાઓ દરમિયાન વિશ્વવેપારનો વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર

સમયગાળો

 વેપારનો વૃદ્ધિનો દર

1950 – 1973

7.88%

1973 – 1985

3.65%

1985 – 1996

6.55%

1996 – 2000

6.89%

2000 – 2011

5.00%

2015 – 2016

2.8%


6. વિશ્વવેપારમાં ભારતનો હિસ્સો સમજાવો.
અથવા
GDPમાં નિકાસનો ફાળો વધ્યો છે. સમજાવો.
ઉત્તર :
વિશ્વવેપારનું કદ અને વૃદ્ધિનો દર જોતાં ભારતનો વિશ્વવેપારમાં હિસ્સો નાનો છે. પરંતુ એક વિકાસશીલ દેશ તરીકે ભારત વિશ્વવેપારમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતની પોતાની નિકાસો વધી છે. તેમજ GDPમાં નિકાસનો ફાળો વધ્યો છે.
નિકાસના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં, ભારતની આયાતો તેની નિકાસો કરતાં વધુ પ્રમાણમાં વધે છે. આયાતોનું GDPમાં પ્રમાણ નિકાસો કરતાં વધુ છે.
વધતી આયાતોનું અર્થઘટન એવું થાય છેકે, ભારતની વૃદ્ધિ અને વિકાસ સારા એવા પ્રમાણમાં થાય છે. જેથી વિકાસ માટેની આયાતોનું પ્રમાણ વધ્યું છે. અને ભારતે આવી આયાતો કરવાનું પોસાય છે. વધતી નિકાસોનો અર્થ એ થાય છે કે, ભારતની વિશ્વ કક્ષાએ સ્પર્ધાત્મક કિંમતોએ સારી ગુણવત્તાવાળી વસ્તુઓ અને સેવાઓનો નિકાસલક્ષી જથ્થો ઉત્પન્ન કરવાની ક્ષમતા વધી છે.
2014-15માં વિશ્વના કુલ વેપારમાં ભારતના વેપારનો હિસ્સો 2.07% રહ્યો હતો.
વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસોનો ટકાવારી હિસ્સો

વર્ષ

વિશ્વની કુલ નિકાસોમાં ભારતની નિકાસોનો ટકાવારી હિસ્સો

ભારતનો વિશ્વમાં ક્રમ

2005

0.9

29

2010

1.5

19

2012

1.6

19

2013

1.7

19

2014

1.7

19



7. વિદેશવેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવા શા માટે જરૂરી છે?
ઉત્તર :
કોઇ દેશના વેપારનાં વલણો જાણવા, તેના વેપાર અંગેનો વિકાસ જાણવા, આંતરરાષ્ટ્રીય ધોરણે દેશના વેપાર માટેના પ્રયાસો સમજવા અને દેશના અન્ય દેશો સાથેના સંબંધો સમજવા તેમજ દેશના ઘરેલું ઉત્પાદનની આંતરારાષ્ટ્રુ ધોરણે ગુણવત્તા અને હરીફાઇક્ષમતા તપાસવા માટે વિદેશવેપારનું કદ, સ્વરૂપ અને દિશા જાણવા જરૂરી છે.


8. ભારતમાં વિદેશ વેપારનું કદ સમજાવો.
ઉત્તર :
વિદેશ વેપારનું કદ એટલે સરળ શબ્દોમાં કહીએ તો આયાત અને નિકાસ થતી ભૌતિક વસ્તુઓનું કુલ મૂલ્ય (તથા કુલ જથ્થો) પ્રતિ વર્ષ જો આયાત માટે થતી ચૂકવણી અને નિકાસમાંથી થતી કમાણી વધતી જાય, દેશની રાષ્ટ્રીય આવકમાં વેપારના મૂલ્યનો ટકાવારી હિસ્સો વધતો જાય તથા વિશ્વવેપારમાં દેશના વેપારનો હિસ્સો વધે તો તે દેશના વેપારનું કદ વધ્યું એમ કહેવાય.
ભારતમાં 1951 થી 2016 સુધીના સમયના ગાળામાં આયાત અને નિકાસ બંનેનું કદ અને તેમનો રાષ્ટ્રીય આવક તથા વિશ્વવેપારમાં ટકાવારી હિસ્સો વધ્યા છે. પરંતુ નિકાસના કદ અને વૃદ્ધિના દર કરતાં આયાતનું કદ અને વૃદ્ધિનો દર મોટા ભાગના વર્ષમાં વધુ રહ્યા છે.
પ્રતિ વર્ષ વસ્તુઓની કિંમતો વધતાં આયાત કે નિકાસના મૂલ્યના વધારાને વેપારના કદના માપ તરીકે લેવાય નહિ. આયાત અને નિકાસનો જથ્થો વધતાં જે મૂલ્ય વધે તેને કદમાં વધારો કહેવાય. આથી આયાત અને નિકાસનું મૂલ્ય સ્થિર ભાવોએ અથવા USAના ડોલરમાં મપાય છે.
1991 પછી ભારતના વિદેશ વેપારનું કદ

 

1991 – 92

1998 – 99

2014 – 15

વસ્તુઓની નિકાસો

17.9

33.2

310.5

વસ્તુઓની આયાતો

19.4

42.4

448.0

વેપાર તુલા

-1.5

-9.2

-137.5


સ્વતંત્રતા પછી શરૂઆતનાં વર્ષોમાં નીચા વિકાસના કારણે ભારતમાં વિકાસલક્ષી આયાતોનું કદ ખૂબ ઊંચું રહ્યું. જ્યારે નિકાસ કરવાની ક્ષમતા નીચી હોબાના કારણે નિકાસો નીચી રહી.
1980 પછી જેમ–જેમ ભારતમાં વિકાસ વધતો ગયો તેમ–તેમ મોટા ઉદ્યોગોને ટકાવવા, નિભાવવા અને ફેલાવવા માટેની આયાતો વધતી ગઈ. આ ગાળા દરમિયાન દેશમાં આવકોમાં વધારો થતા દેશમાં માંગ વધતી ગઇ અને નિકાસ માટે ઓછું ઉત્પાદન બચતા નિકાસો પ્રમાણમાં નીચી રહી.
1991 પછી નિકાસોમાં સારા એવા પ્રમાણમાં વધારો થયો. વૈશ્વિકીકરણમાં હરીફાઇમાં ટકવા માટે ટેક્નોલોજી, પેટ્રોલ વગેરેની આયાતો ઊંચી રહી પરંતુ નિકાસો પણ સારા પ્રમાણમાં વધી.
વિકાસલક્ષી આયાતો એટલે કાચો માલ, નિષ્ણાતોની સલાહ, મશીનો વગેરે. નિભાવ માટેની આયાતો એટલે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય–પ્રાપ્તિ વગેરે માટે થતી આયાતો.
ભારતની GDPમાં (કુલ ઘરેલું પેદાશમાં) વેપારનો ટકાવારી હિસ્સો

વર્ષ

ભારતના વેપારનો GDPમાં ટકાવારી હિસ્સો (વેપારની USA $માં માપણીના આધારે)

1981

12

1991

13.9

2001

19

2011

41.8

2014

38.3


9. ભારતની આયાત અને નિકાસ થતી વસ્તુઓનું સ્વરૂપ સમજાવો.
ઉત્તર :
આ વિભાગમાં વિદેશવેપારના સ્વરૂપનો અર્થ વેપારની રચના તરીકે લઇશું. એટલે ભારતની ભૌતિક આયાતો અને નિકાસોની રચના અથવા આયાત અને નિકાસ થતી વસ્તુઓના પ્રકારો.
ભારતના વિદેશ વેપારનું સ્વરૂપ તપાસતા સમજાય છેકે, ભારત જે 1951માં ઓછા વિકસિત દેશ તરીકે ઓળખાતો હતો તે આગળ વધીને 1980 સુધીમાં વિકાસશીલ બન્યો અને 2000 પછી વિશ્વમાં ઝડપથી વિકસતા દેશ તરીકે ઊભરતા અર્થતંત્ર તરીકે ઓળખ પામી.
ઓછા વિકસિત દેશમાં દરેક ક્ષેત્રની આયાતો મોટા પ્રમાણમાં થાય છે. 1950 અને 1960ના દાયકાઓમાં ભારતમાં નબળી ખેતીના કારણે ભારતમાં અનાજની આયાતો વારંવાર થતી હતી. વળી, વિકાસલક્ષી આયાતો જેવી કે મશીનો, મૂડી, ટેક્નોલોજી, નિષ્ણાંતોની સલાહ, સ્પેરપાટ્સ વગેરેની પણ મોટા પ્રમાણમાં થતી હતી.
વળી, નીચા વિકાસની પરિસ્થિતિમાં પ્રાથમિક ચીજવસ્તુઓની નિકાસો વધુ હોય છે. ભારતમાં ચા, કોફી, શણ, કાચી ધાતુઓ અને ખનીજ વગેરેની નિકાસનું પ્રમાણ વધુ હતું અને ઔદ્યોગિક વસ્તુઓની નિકાસો નીચી હતી.
જ્યારે દેશ વિકાસશીલ બને ત્યારે અનાજની આયાતો ઘટવા પામે છે. અને દેશની નિકાસોમાં પ્રાથમિક વસ્તુઓનો હિસ્સો ઘટે છે. અને ઔદ્યોગિક નિકાસોનો હિસ્સો વધે છે. ભારતના સીત્તેર અને એંશીના દાયકાઓમાં આ પ્રકારનાં વલણો જોવા મળ્યાં.
નિકાસની ગતિ વધતા, વિકાસના નિભાવ માટે, નિકાસલક્ષી ઉદ્યોગો માટે અને ઉદ્યોગોના વૈવિધ્યકરણ તથા વિસ્તૃતીકરણ માટેની આયાતો વધે છે. જેમ કે વચગાળાની વસ્તુઓ, કાચો માલ, સ્પેરપાટ્સ, પેટ્રોલ, નવીન ટેક્નોલોજી વગેરે વિકાસની પ્રક્રિયા સાથે ભારતમાં વધતી ગઇ.
1991 પછી ભારતમાં આયાતો અને નિકાસોનું સ્વરૂપ નોંધપાત્ર રીતે બદલાયું. ભારતની આયાતોમાં અનાજ અને ખેતીલક્ષી આયાતો ખૂબ ઓછી થઇ અને મૂડી આયાતો પણ ઓછી થઇ.
પરંપરાગત નિકાસો જેવી કે ચા, કોફી, શણ વગેરેનો કુલ નિકાસોમાં હિસ્સો ઓછો થયો અને ઔદ્યોગિક અને બિનપરંપરાગત નિકાસોનો ફાળો વધ્યો. દા.ત., સોફ્ટવેરની નિકાસ.
1961માં ખાદ્યવસ્તુઓની આયાતો કુલ વસ્તુ આયાતોમાં 19.1 ટકાનો હિસ્સો ધરાવતી હતી જે 2014-15માં ઘટીને ફકત 3.9% થયો. એટલે કે ભારતે અનાજ અને અન્ય ખાદ્યવસ્તુઓમાં સ્વનિર્ભરતા પ્રાપ્ત કરી. વિકાસની ગતિ વધતાં ભારતમાં મૂડી અને મૂડીપ્રચુર વસ્તુઓ પણ સારી રીતે ઉત્પન્ન થઇ શકી અને આથી મૂડી આયાતો સારા પ્રમાણમાં ઘટવા પામી.
1960-61માં કુલ વસ્તુ આયાતોમાં મૂડીજન્ય આયાતોનો હિસ્સો 31.7% હતો, જે ખૂબ ઊંચા હતો જે 2014-15માં ઘટીને 9.8% થયો.
અન્ય નવીન આયાતોનું પ્રમાણ 1960-61માં 2.2% હતું. જે 2014-15માં 46.5% થયું. એટલે કે વિકાસમાં વૈવિધ્યકરણ આવતા નવીન વસ્તુઓની આયાતો વધે છે.
તે જ રીતે નિકાસોનું સ્વરૂપ પણ બદલાયું છે. સમગ્ર પ્રાથમિક ક્ષેત્રનો વસ્તુનિકાસોમાં ફાળો 1960-61માં 44.2% હતો જે 2014-15માં ઘટીને ફકત 12.3% જેટલો રહ્યો, (જેમાં ચા તથા કોફીની નિકાસોનો હિસ્સો 19.3 થી ઘટીને 0.2 ટકાનો થયો, શણની નિકાસનો હિસ્સો 21 ટકાથી ઘટીને 0.2% થયો) તેમજ વસ્તુનિકાસમાં ચામડાંની નિકાસનો ફાળો 1960-61માં 4.4 ટકાથી ઘટીને 2014-15માં 1.3% અને કાપડની નિકાસનો હિસ્સો 10 ટકાથી ઘટીને 2% થયો.
તેની સામે તૈયાર કપડાંઓની વસ્તુનિકાસમાં હિસ્સો જે 1960-61માં 45.3% હતો તે 2014-15માં વધીને 66.7% જેટલો થયો.
પેટ્રોલને લગતી નિકાસોનો કુલ વસ્તુનિકાસમાં ફાળો 1960-61માં 1.1% જ હતો, જે 2014-15માં 18.5% જેટલો થયો.

10. ભારતની વિદેશવેપારની દિશા સમજાવો.
ઉત્તર :
વિદેશ વેપારની દિશા એટલે કોઇ દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. અલગ–અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા માટે કોઇ દેશ પાસે,
● વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઇએ.
● અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો/રાજનયિક સંબંધો હોવા જોઇએ.
● અનેક પ્રકારના રાજનયિક પ્રયત્નો કરવાની તૈયારી જોઇએ.
● વેચાણ–વ્યવસ્થા અને વેપાર–વ્યવસ્થાપન માટેની આવડત તથા ટેક્નોલોજી હોવા જોઇએ.
● વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન હોવું જોઇએ.
સ્વતંત્રયા પછી ભારતનો મોટા પ્રમાણનો વેપાર UK સાથે થતો હતો. કારણકે સ્વતંત્રતા પહેલાં UK સાથે આપણો વેપાર સ્થપાયેલો હતો.
1960-61માં ભારતની કુલ આયાતોમાંથી 19% આયાતો UKથી આવતી હતી, જે 2007 પછી ઘટીને 2 ટકાથી ઓછી થઈ ગઇ.
સ્વતંત્રતા પછી આપણે અમેરિકા પર અનેક પ્રકારની આયાતો માટે નિર્ભર રહ્યા હતા. 1960-61માં વસ્તુઓ અને સેવાઓની કુલ આયાતોમાં USA થી 29% આયાતો થઇ હતી, જે 2007 પછી ઘટીને 8% થી નીચી થઇ ગઇ.
OPEC થી આયાતોનું પ્રમાણ વસ્તુઓની કુલ આયાતોમાં વધ્યું કારણકે ઔદ્યોગિકીરણ અને વિકાસ વધતાં પેટ્રોલની (ખનીજની તેલની) આયાતો વધી. (OPEC – ખનીજતેલની નિકાસ કરતા દેશોનું જુથ)
રશિયા સાથે ભારતના મૈત્રીસંબંધો હતા અને સ્વતંત્રતા પછી રશિયાથી ઊંચા પ્રમાણમાં આયાતો થતી હતી. જે 1980 પછી રશિયામાં થયેલી આર્થિક કટોકટીના કારણે ઘટી ગઇ.
આમ, પરંપરાગત ભાગીદારો સાથે વેપાર ઘટ્યો પરંતુ વિકાસશીલ દેશો સાથેનો આપણો વેપાર વધ્યો. ખાસ કરીને એશિયા, મધ્ય એશિયા અને આફ્રિકાના વિકાસશીલ દેશો સાથે આપણો વેપાર વધ્યો છે. 1960-61માં વસ્તુઓની કુલ આયાતોમાંથી 11.8% જેટલી આયાતો વિકાસશીલ દેશોમાંથી આવતી હતી, જે 2007-08માં 32% જેટલી થઇ અને 2014-15માં 59% જેટલી થઇ.
તે જ પ્રમાણે, 1960-61માં UK તરફથી વસ્તુઓના કુલ નિકાસોમાંની 26.8% નિકાસો થતી હતી જે 2007-08 પછી ઘટીને 4 ટકાથી નીચી ગઇ.
તે જ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતે થતી વસ્તુનિકાસની ટકાવારી 16 ટકાથી ઘટીને 12.7% થઇ અને રશિયા ખાતેની વસ્તુનિકાસોની ટકાવારી 14.8 ટકાથી વધી અને 42.6 ટકાથી વધુ થવા પામી.
2014-15માં એશિયાના દેશો ખાતે આપણી વસ્તુનિકાસોમાંથી 50% જેટલી નિકાસો થઇ હતી. આમ, અલગ–અલગ દેશો સાથે અને દિશાઓમાં વેપાર વિકસાવવા ભારતે સફળ પ્રયત્નો કર્યા છે.
2007-08 સુધી ભારતના વેપારની દિશા દર્શાવવા પ્રદેશોનું વર્ગીકરણ જે રીતે થતું હતું તે ત્યાર પછી બદલાયું છે.
વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુઆયાતોમાં ટકાવારી હિસ્સો (નાણાંકીય વર્ષ : 2014-15)

પ્રદેશ

ભારતની આયાતોમાં ટકાવારી હિસ્સો

એશિયા

59

યુરોપ

16

આફ્રિકા

08

લેટિન અમેરિકન દેશો

07

નોર્થ અમેરિકા

06

CIS અને બાલ્ટિક પ્રદેશો

02

અન્ય

02

કુલ

100


વિશ્વના વિવિધ પ્રદેશોનો ભારતની વસ્તુનિકાસોમાં ટકાવારી હિસ્સો (વિત્તિય વર્ષ : 2014-15)

પ્રદેશ

ભારતની નિકાસોમાં ટકવારી હિસ્સો

એશિયા

50

યુરોપ

18

આફ્રિકા

14

લેટિન અમેરિકન દેશો

11

નોર્થ અમેરિકા

05

CIS અને બાલ્ટિક પ્રદેશો

01

અન્ય

01

કુલ

100



11. લેણદેણની તુલાનો ખ્યાલ સ્પષ્ટ કરો.
ઉત્તર :
લેણદેણની તુલા એટલે કોઇ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડીવેપારના મૂલ્યની નોંધણી થાય છે.
અર્થ :
વર્ષ દરમિયાન દેશની ભૌતિક (દ્રશ્ય) અને અભૌતિક (અદ્રશ્ય) આયત–નિકાસનું મૂલ્ય દર્શાવતું હિસાબી સરવૈયું એટલે લેણદેણની તુલા. (ભૌતિક કે દ્રશ્ય ચીજો એટલે વસ્તુઓ અભૌતિક કે અદ્રશ્ય ચીજો એટલે સેવાઓ)
લેણદેણની તુલાને બે બાજુઓ, એટલે કે જમાબાજુ અને ઉધારબાજુ હોય છે. વિદેશો પાસેથી દેશને થતી બધી જ આવકો જમાબાજુએ નોંધાય છે. અને વિદેશોને થતી બધી જ ચૂકવણીઓ ઉધારબાજુએ નોંધાય છે.

12. લેણદેણની તુલાના પ્રકરો સમજાવો.
ઉત્તર :
લેણદેણની તુલા એટલે કોઇ એક દેશના અન્ય દેશો સાથેના વેપારના મૂલ્યનું સરવૈયું જેમાં વસ્તુઓ તથા સેવાઓના વેપારનું મૂલ્ય, સાધનોની હેરફેરનું ખર્ચ અને મૂડીવેપારના મૂલ્યની નોંધણી થાય છે.
લેણદેણની તુલા (1) સમતોલ અને (2) અસમતોલ હોય છે.
સમતોલ તુલામાં જમા અને ઉધારબાજુના સરવાળા સમાન હોય છે. અસમતોલ તુલામાં જમા અને ઉધારબાજુના સરવાળા સરખા હોતા નથી.
જ્યારે જમાબાજુનો સરવાળો ઉધારબાજુના સરવાળા કરતા વધુ હોય તો લેણદેણની તુલામાં પુરાંત છે એમ કહેવાય.
જ્યારે ઉધારબાજુનો સરવાળો જમાબાજુના સરવાળા કરતાં વધુ હોય તો લેણદેણની તુલામાં ખાધ છે એમ કહેવાય.
ડબલ એન્ટ્રી બુક કીપિંગ પ્રમાણે લેણદેણની તુલા સમતોલ હોય છે. પરંતુ વાસ્તવમાં તેમાં ખાધ અથવા પુરાંત હોઇ શકે છે.

13. લેણદેણની તુલાનાં ખાતાઓ સમજાવો.
ઉત્તર :
લેણદેણની તુલામાં બે ખાતાઓ હોય છે :
(1) ચાલુ ખાતું :
આ ખાતામાં નીચેની બાબતો માટે જમા અને ઉધાર રકમો નોંધવામાં આવે છે.
                    (I) ભૌતિક વસ્તુઓના વેપારનું મૂલ્ય :
ભૌતિક વસ્તુઓની નિકાસકમાણી જમાબાજુ અને ભૌતિક વસ્તુઓની આયાત પાછળનો ખર્ચ ઉધારબાજુ નોંધાય છે.
આ વિભાગના સરવાળાને વેપારતુલા કહેવાય છે. દેશમાં ભૌતિક વસ્તુઓની આયાત ચૂકવણીઓ ભૌતિક વસ્તુઓની નિકાસ કમાણી કરતા વધુ હોય, તો વેપારતુલામાં ખાધ આવે છે. અને તેથી ઊલટું હોય તો, વેપારતુલામાં પુરાંત નોંધાય છે.
                    (II) અભૌતિક સેવાઓના નિકાસ કે આયાતથી થતી આવક અને જાવકની નોંધ પણ ચાલુ ખાતામાં થાય છે.
(I) અને (II) ના સંયુક્ત સરવાળાને ચાલુ ખાતાની તુલા કહેવાય છે.

(2) મૂડી ખાતું :
આ ખાતામાં એક દેશના અન્ય દેશો સાથેના મૂડી વહેવારોનું મૂલ્ય નોંધાય છે. જેવા કે બોન્ડ, શેર, સોનું, મૂડી પ્રકારનું ધિરાણ વગેરે તથા સ્થાયી મૂડીરોકાણ.
ચાલુ ખાતા અને મૂડી ખાતાના સરવાળાને લેણદેણની તુલા કહેવાય છે.

14. દેણદેણની તુલાને અસર કરતાં પરિબળો જણાવો.
ઉત્તર :
લેણદેણની તુલાને અસર કરતાં પરિબળો એટલે કે દેશમાં આયાત, નિકાસ, મૂડીની હેરફેર, સાધનની હેરફેર, મૂડીરોકાણ, ધિરાણ વગેરેને અસર કરતાં પરિબળો આવાં પરિબળોના કારણે તુલામાં પુરાંત અથવા ખાધ આવી શકે છે.
આવાં પરિબળો મુખ્યત્વે દેશના આર્થિક વિકાસના સ્તર પર આધારિત હોય છે. આવાં કેટલાંક પરિબળો નીચે મુજબ જણાવી શકાય :
● હૂંડિયામણનો દર
● વેપાર થતી વસ્તુઓ અને સેવાની પોતાના દેશમાં તથા વિદેશોમાં કિંમત
● વેપાર થતી વસ્તુઓની વિવિધતા અને ગુણવત્તા
● અનિવાર્ય આયાતો
● દેશના આર્થિક વિકાસનું સ્તર
● વેપાર પર રાજકીય અને કાયદાકીય અંકુશો
● વેપારને આધાર આપતી સવલતો જેમ કે વાહનવ્યવહાર, સંદેશાવ્યવહાર, અન્ય આંતર માળખાકીય સુવિધાઓ વગેરે.

15. હૂંડિયામણ દર પર નોંધ લખો.
ઉત્તર :
જ્યારે ભારતીય નાગરિકો વિદેશ ફરવા જાય છે. ત્યારે તેઓ ભારતના ચલણ રૂપિયામાં ત્યાં ખરીદી કરી શકતા નથી. તેમણે રૂપિયાનું જે–તે દેશના ચલણમાં રૂપાંતર કરવું પડે. તેમજ જ્યારે ભારતમાં કોઇ આયાતકાર વિદેશી વસ્તુની આયાત કરે ત્યારે તેની ચૂકવણી જે–તે દેશના ચલણમાં કે આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વીકૃત ચલણમાં કરવી પડે. આ ઉદાહરણો ભારતની વિદેશી હૂંડિયામણ માટેની માંગ દર્શાવે છે.
તે જ પ્રમાણે વિદેશીઓ ભારતના રૂપિયાની માંગ કરી શકે.
આવા પ્રવાસીઓ કે વેપારીઓ બેન્કો પાસે અથવા ચલણના કાયદામાન્ય વેપારીઓ પાસે જઇને પોતાના દેશની ચલણને અન્ય ચલણમાં રૂપાંતર કરાવે છે. આ પ્રકારનું રૂપાંતર જે–તે સમયે પ્રવર્તતા કોઇ ચોક્કસ દરે થાય છે. આવા દરને હૂંડિયામણનો દર કહેવાય.
● જે દરે એક દેશના ચલણને બીજા દેશના ચલણમાં રૂપાંતર કરી શકાય તે દર એટલે હૂંડિયામણનો દર.
● એક દેશના ચલણની બીજા દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે હૂંડિયામણનો દર.
કોઇ એક દેશ માટે હૂંડિયામણનો દર એટલે વિદેશી ચલણના એક એકમની પોતાના દેશના ચલણમાં વ્યક્ત થતી કિંમત એટલે કે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે પોતાના દેશના ચલણના જેટલા એકમો ચૂકવવા પડે તે કિંમત.
દા.ત., US $ 1 = રૂ. 60ના હૂંડિયામણ દરનો અર્થ એવો થાય કે US $ 1 ખરીદવા માટે ભારતીય નાગરિકે રૂ. 60 ચૂકવવા પડે છે.
જ્યારે ભારત માટે હૂંડિયામણનો દર ઊંચો થાય ત્યારે ભારતના ચલણનું આંતરરાષ્ટ્રીય બજારમાં મૂલ્ય ઘટ્યું ગણાય. કારણકે વિદેશી ચલણનું એક એકમ ખરીદવા માટે હવે વધુ રૂપિયા આપવા પડે. એટલે કે વિદેશી ચલણની કિંમત મોંઘી થ!ય અને ભારતના રૂપિયાનું મૂલ્ય ઓછું થાય.
પહેલા US $ 1 = રૂ. 60 દર ઊંચો થવાથી US $ 1 = રૂ. 65 તેમજ જ્યારે ભારત માટે હૂંડિયામણનો દર નીચો થાય ત્યારે રૂપિયાનું મૂલ્ય વધે. (પરંતુ ચલણના મૂલ્ય વિશેના વિશ્લેષણમાં ચલણના દર વધ–ઘટ થવા વચ્ચેનો સમય આંતર, દરેક દેશમાં વસ્તુઓની કિંમત વગેરે ભાગ ભજવે છે.)
ક્યારેક ખુલ્લા બજારમાં હૂંડિયામણના દરોમાં ફેરફાર થાય છે, તો ક્યારેક કોઇ દેશની સરકાર આયાતો અને નિકાસોને અસર પહોંચાડવા તેમ કરે છે.
ભારત માટે હૂંડિયામણનો દર વધે અને રૂપિયાનું મૂલ્ય ઓછું થાય, તો ભારતમાં આયાતોની માંગ ઘટે છે. અને નિકાસો વધાવ પામે છે.
જ્યારે US $ 1 ની કિંમત રૂ. 60 થી રૂ. 65 થાય તો આયાતકારે US $ 1 થી વસ્તુની આયાત માટે રૂ. 65 ચૂકવવા પડે છે. જેના માટે અગાઉ ફકત રૂ. 60 ચૂકવવા પડતા હતા. માટે આયાતો ઓછી થવા પામે છે.
કોઇ વિદેશી વેપારીને $ 1 ખર્ચીને પહેલાં રૂ. 60ની વસ્તુ મળતી હતી. જ્યારે હવે $ 1 ખર્ચીને રૂ. 65ની વસ્તુઓ મળે છે. માટે નિકાસો વધવા પામે છે.
ભારત માટે હૂંડિયામણનો દર ઘટે તો તેથી ઊલટું જોવા મળે છે.